કોરોના વાયરસ મહામારી દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આઈપીએલ ૨૦૨૦નું સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને અન્ય અધિકારીઓને આ માટે શુભકામના પાઠવવામાં આવી રહી છે. પણ આ વચ્ચે જ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીની એક ટ્વીટે વિવાદ ઉભો કર્યો છે. શાસ્ત્રીની આ ટ્વીટથી ફરી એ વાતને હવા મળી છે કે તેમના અને સૌરવ ગાંગુલી વચ્ચેના સંબંધમાં મોટી તિરાડ છે.
રવિ શાસ્ત્રીએ પોતાની ટ્વીટમાં બીસીસીઆઈ સચિવ જય શાહ, આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલ, બીસીસીઆઈના વચગાળાના સીઈઓ હેમાંગ અમીન અને સાથે જ બીસીસીઆઈના મેડીકલ સ્ટાફને શુભકામના પાઠવી હતી. પણ આ ટ્વીટમાં ગાંગુલીનું નામ લખવામાં આવ્યું ન હતું. શાસ્ત્રીએ ટ્વીટ કર્યું કે, આ અસંભવ કાર્ય અને સપનાને પૂરુ કરવા માટે જય શાહ, બ્રિજેશ પટેલ, હેમાંગ અમીન અને બીસીસીઆઈનો મેડિકલ સ્ટાફ વખાણને પાત્ર છે. ઉલ્લેખનીય છે કે, રવિ શાસ્ત્રી અને ગાંગુલી વચ્ચેના સંબંધોમાં કડવાશની વાત કોઈ નવી વાત નથી.
વર્ષ ૨૦૧૬માં જ્યારે ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ અનિલ કુંબલેને ભારતીય ટીમનો કોચ બનાવ્યો હતો ત્યારે પણ સંબંધોમાં કડવાશ આવી હતી. આ કમિટીમાં ગાંગુલી ઉપરાંત વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંડુલકર સામેલ હતા. શાસ્ત્રીએ કોચ ન બનાવવાને કારણે સૌરવ ગાંગુલી પર આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું હતું કે, કોઈ એક સભ્ય આ વાતનો નિર્ણય કરી શકતો નથી.