ગુડ્ઝ સર્વિસ ટેક્સ(જીએસટી)ના વિરોધમાં શહેર સહિત રાજયભરના કાપડબજારના વેપારીઓ ત્રણ દિવસના બંધના એલાનમાં જોડાયા છે, જેને પગલે આજે બંધના પહેલા દિવસે અમદાવાદના કાપડ બજારના વેપારીઓએ સજ્જડ બંધ પાળી જીએસટીનો વિરોધ કર્યો હતો. અમદાવાદની જેમ જ સુરત, રાજકોટ સહિતના શહેરોમાં પણ કાપડબજારોએ જડબેસલાક હડતાળ પાડી હતી. જેને પગલે કાપડ માર્કેટોનું કામકાજ ઠપ્પ રહ્યું હતું. જીએસટીના અમલને આડે હવે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે કાપડઉદ્યોગ સહિતના ઉદ્યોગજગત અને વેપારીઓનો વિરોધ ઉગ્ર બન્યો છે. કાપડબજારના વેપારીઓ પર પાંચ ટકા ટેક્સ અને આ સેકટર પર ૧૮ ટકા સુધીનો જીએસટીનો ટેક્સ ઝીંકવાની વાતને લઇ કાપડ માર્કેટમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સરકાર તરફથી કોઇ યોગ્ય હકારાત્કમ અભિગમ નહી દર્શાવતાં કે, કોઇ હૈયાધારણ નહી મળતાં કાપડમાર્કેટના વેપારીઓએ ત્રણ દિવસનો બંધ પાળવાનું એલાન આપ્યું હતું. જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેરમાં મસ્કતી માર્કેટ, ન્યુ કલોથ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, પાંચકુવા સિંધી માર્કેટ, સુમેલ-૧,૨,૩ સહિતના કાપડબજારો સજ્જડ રીતે બંધ રહ્યા હતા. વેપારીઓ સ્વયંભુ રીતે બંધના એલાનમાં જોડાયા હતા. આ જ પ્રકારે સુરતમાં પણ ૧૭૫થી વધુ જુદા જુદા કાપડ માર્કેટ બંધ રહ્યા હતા. તો, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં પણ કાપડબજારના વેપારીઓએ બંધ એલાનને જબરદસ્ત સમર્થન આપ્યું હતું અને તેઓ પણ હડતાળમાં જોડાયા હતા. કાપડબજારના વેપારીઓએ આજે બંધ પાળી જીએસટીનો ઉગ્ર વિરોધ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ રોજગારી આપતો વ્યવસાય કાપડઉદ્યોગનો છે અને તેની પર આટલા ઉંચા જીએસટી ટેકસથી વેપારીઓની કમર તૂટી જશે અને કાપડઉદ્યોગ પડી ભાંગશે. નાના વેપારીઓ તો ખતમ જ થિ જશે. અત્યારસુધી કાપડઉદ્યોગ પર ટેક્સ ન હતો અને હવે એકાએક આટલો ઉંચો ટેક્સ ઝીંકવાથી આ ઉદ્યોગના અસ્તિત્વ અને વિકાસ પર ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સરકારે હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય જાહેર કરવો જોઇએ અને જીએસટીમાંથી તેઓને મુક્તિ આપવી જોઇએ.
પાછલી પોસ્ટ