Aapnu Gujarat
ગુજરાત

 ગેરકાયદે રીતે ફી ઉઘરાવવા મામલે મુકતક કાપડિયાના જામીન રદ કરી રિમાન્ડની માંગણી

સીબીએસઇ કોર્સની માન્યતા હોવાના બહાને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપીંડી કરવાના ચકચારભર્યા પ્રકરણમાં એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક મુકતક કાપડિયાના આગોતરા જામીન રદ કરાવવા અને રિમાન્ડ મેળવવા માટે સરકારપક્ષ દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરાયેલી અલગ-અલગ રિવીઝન અરજીમાં તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ જતાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી.એ.પટેલે બંને અરજીઓ પરનો ચુકાદો તા.૨૯મી જૂન પર અનામત રાખ્યો હતો. રાજય સરકાર દ્વારા આજે કોર્ટ સમક્ષ આરોપી મુકતક કાપડિયાના જામીન રદ કરવા અને તેના રિમાન્ડ મંજૂર કરવા જોરદાર માંગણી કરાઇ હતી. સીબીએસઇ કોર્સની માન્યતા નહી હોવાછતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ગેરકાયદે રીતે ફી ઉઘરાવી છેતરપીંડી કરવાના પ્રકરણમાં એચ.બી.કાપડિયા સ્કૂલના આરોપી સંચાલક મુકતક કાપડિયા અને મહિલા પ્રિન્સીપાલ પૂનમબહેન સેડાણી વિરૂધ્ધ ઘાટલોડિયા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં નીચલી કોર્ટે આ બંને આરોપીઓના આગોતરા જામીન ફગાવતાં તેઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, હાઇકોર્ટે પણ મુકતક કાપડિયા અને પૂનમ સેડાણીની આગોતરા જામીનઅરજી ફગાવી દીધી હતી, જેને પગલે પોલીસ માટે મુકતક કાપડિયા અને પૂનમ સેડાણીની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો. આખરે પોલીસે ગત તા.૧૬મી એપ્રિલે મોડી રાત્રે એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક અને ટ્‌સ્ટી એવા મુકતક કાપડિયાની ધરપકડ કરી હતી અનેે તેમને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી હતી અને બાદમાં મુકતક કાપડિયાના રૂ.૨૫ હજારના શરતી જામીન મંજૂર કર્યા હતા.આ હુકમથી નારાજ સરકારપક્ષે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરવી હોઇ નિયમોનુસાર કલેકટરની પરવાનગી મેળવી આરોપી મુકતક કાપડિયાના જામીન રદ કરાવવા અને તેના ત્રણ દિવસના રિમાન્ડ માટે અલગ-અલગ રિવીઝન અરજી કરી હતી. જેમાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે અને હજુ આ કેસની તપાસ ચાલુ છે. આરોપીના જામીન સેશન્સ કોર્ટે અને હાઇકોર્ટે અગાઉ ફગાવાયા હતા, તે હકીકત છુપાવી હતી. એટલું જ નહી, આરોપીએ કેસના ૪૦૦ જેટલા સાક્ષીઓને ફોડી કાઢયા છે અને તેઓના સોગંદનામા લખાવી લઇ સમગ્ર કેસ લુલો પાડવાનો હીન પ્રયાસ કર્યો છે. આરોપી જો જામીન પર મુકત રહે તો કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા થવાની પૂરી શકયતા છે, તેથી તેના જામીન તાત્કાલિક અસરથી રદ કરવા જોઇએ. વળી, કેસની તપાસ હજુ ચાલુ હોઇ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને ડોનેશન તેમ જ ગેરકાયદે ફી ના નાણાં કયા જમા થતા હતા તે સહિતની વિગતો જાણવાની છે અને તે માટે આરોપી મુકતક કાપડિયાની ક્સ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ જતાં  બંને રિવીઝન અરજીઓનો ચુકાદો તા.૨૯મીએ રાખ્યો હતો.

Related posts

શક્તિસિંહ ગોહિલનાં વિવાદાસ્પદ નિવેદનને લઇ કચ્છ-ભુજમાં કોંગ્રેસનો વિરોધ કરાયો

aapnugujarat

બેચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે રોજગારી મુદ્દે આપી આંદોલન કરવાની ચિમકી

aapnugujarat

ખેડબ્રહ્મા અને પાનેલીમાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1