શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વોનો આંતક વધી ગયો છે. કૃષ્ણનગરના બાપા સીતારામ ચોક પાસે બુધવારે સાંજે તડીપાર થયેલા કુખ્યાત ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરિતો દ્વારા ખુલ્લી તલવાર સાથે ભયનો આંતક મચાવાયો હતો. આરોપીઓએ એક સ્ટોરમાંથી યુવકનું અપહરણ કરી તેને દાસ્તાન ફાર્મ સર્કલ પાસે લઇ જઇ ઢોર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એટલું જ નહી, ઇજાગ્રસ્ત યુવકના કાકા સીકયોરીટી જવાન છે, તેમને પણ આ આરોપીઓએ હુમલાનો ભોગ બનાવ્યા હતા અને તેમને ખંજરના ઘા ઝીંકી તેમની પાસેથી ૩૨ બોરની લોડેડ રિવોલ્વર લૂંટી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસમથકમાં ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરિતો વિરૂધ્ધ હત્યાની કોશિષ, રૂ.૧.૨૫ લાખના મુદ્દામાલની લૂંટ સહિતના ગુના હેઠળની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વિગત એવી છે કે, કૃષ્ણનગર વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર બંગલોઝમાં રહેતા ભગીરથસિંહ રામભરોસે રાજપૂતનો ભત્રીજો રાજેશ સીકરવાર બોમ્બે ફેશન સ્ટોરમાં હતો ત્યારે બુધવારે સાંજે તડીપાર અને કુખ્તાય એવો ધર્મેન્દ્ર બારડ(રહે.પાર્શ્વનાથ ટાઉનશીપ, કૃષ્ણનગર) તેના સાગરિતો ચીન્ટુ, પ્રેમ તોમર, બિલ્લા અને રાજ ગુર્જર સાથે ખુલ્લી તલવાર લઇ આવ્યો હતો અને આંતક મચાવ્યો હતો. આરોપીઓએ રાજેશનું અપહરણ કરી તેને દાસ્તાન ફાર્મ સર્કલ લઇ ગયા હતા અને તેને ઢોર માર માર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં રાજેશને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. તેના કાકા ભગીરથસિંહ કે જે સીકયોરીટી જવાન છે તેઓ તેની ખબર કાઢી રાત્રે પરત આવી રહ્યા હતા ત્યારે ધર્મેન્દ્ર બારડે તેમને રસ્તામાં આંતર્યા હતા અને તેઓ કંઇ સમજે તે પહેલાં જ બારડે તેમને ખંજરના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. આરોપીઓ તેમની પાસેથી ૩૨ બોરની લોડેડ રિવોલ્વર અને ત્રણ તોલાની સોનાની ચેઇન પણ લૂંટીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ભગીરથસિંહને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ભય અને આંતકનો માહોલ છવાઇ ગયો હતો. ખુલ્લી તલવાર અને જાહેરમાં લૂંટની ઘટનાથી સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરાઇ છે.
જો કે, પોલીસ જૂની અદાવતમાં બનાવ બન્યો હોવાનું માની રહી છે. પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આગળની પોસ્ટ