જમ્મુ કાશ્મીરમાં હિંસક ટોળાએ ફરી એકવાર એક પોલીસ અધિકારીની ફરજ દરમિયાન જ હત્યા કરી દીધી છે. રાજ્ય પોલીસે ટ્વીટ કરીને આ કમકમાટીભરી ઘટના અંગે માહિતી આપી છે. ગુરૂવારે મોડી રાત્રે નોહાટ્ટા વિસ્તારમાં જીએસપી મોહમ્મદ અયુબ પંડિત મસ્જિદની બહાર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. રમજાનમાં જુમાની છેલ્લી નમાજને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. કોઇ પણ પ્રકારની હિંસક ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર કાશ્મીરમાં લોકો શબ એ કદ્ર મનાવી રહ્યા છે. આ ગાળા દરમિયાન લોકો આખી રાતે જાગે છે. સાથે સાથે ખીણ અને મસ્જિદ તેમજ દરગાહની અંદર ખાસ દુઆ કરે છે.
જમ્મુ કાશ્મીર પોલીસના લોકોએ માહિતી આપતા કહ્યુ છે કે વધુ પોલીસ અધિકારીની ફરજ પર હત્યા કરી દેવામાં આવી છે. ડીએસપી પંડિત પોતાની ફરજ અદા કરી રહ્યા હતા ત્યારે જ ટોળાએ પહોંચી જઇને તેમને માર મારીને હત્યા કરી દીધી હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે શહેરના જામિયા મસ્જિદની બહાર ડીએસપી તૈનાત હતા. ટોળાને લાગ્યુ કે તેઓ મસ્જિદના ફોટા પાડી રહ્યા છે. હોબાળો થયા બાદ પોલીસે હવામાં ગોળીબાર કર્યો હતો. જેમા ંત્રણ લોકો ઘાયલ થયા હતા. ભીડે એકત્રિત થઇને ડીએસપી પર હુમલો કરી દીધો હતો. ઘટના બન્યા બાદથી સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલી ફેલાઇ ગઇ છે. આજે રમઝાન મહિનામાં અંતિમ શુક્રવાર છે.