Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી કેબિનેટમાં રવિવારે ધરખમ ફેરફારની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય કેબિનેટમાં ધરખમ ફેરફાર કરવા જઇ રહ્યા છે. આ ફેરફાર રવિવારના દિવસે સવારે ૧૦ વાગે થશે. મોદી કેટલાક નવા ચહેરાઓને તક આપનાર છે. કેબિનેટમાં ફેરફાર અને ફેરરચનાના ભાગરુપે ઓછામાં ઓછા પાંચ કેન્દ્રીય મંત્રી ગુરુવારના દિવસે રાજીનામુ આપી દીધા હતા. પ્રધાનોના ખાતા બદલવાની સાથે સાથે કેટલાક જુના મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે. નવા ચહેરાઓને તક મળી શકે છે. માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીને રેલવે ખાતુ મળી શકે છે. જ્યારે સુરેશ પ્રભુને પર્યાવરણ ખાતુ આપવામાં આવી શકે છે. રાજીવ પ્રતાપ રુડીને સંગઠનમાં કોઇ મોટી જવાબદારી મળી શકે છે. પ્રધાનમંડળમાં ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય શાનદાર દેખાવ કરનાર પ્રધાનોને પ્રોત્સાહન આપવાનો અને નિરાશાજનક દેખાવ કરનાર પ્રધાનોની હકાલપટ્ટી કરવાનો પણ છે. ગુજરાતમાંથી પણ કેટલાક પ્રધાનોને મોટી જવાબદારી મળી શકે છે. બઢતી પણ મળી શકે છે. સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમારને શહેરી વિકાસ મંત્રાલય સોંપવામાં આવે તેવી શક્યતા છે. પહેલા આ મંત્રાલય વેંકૈયા નાયડુની પાસે હતું. હાલમાં આની વધારાની જવાબદારી ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પાસે છે. વડાપ્રધાન મોદીએ ગઇકાલે સાંજે જ ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત મે ૨૦૧૪માં સરકારની રચના બાદ પ્રધાનમંડળમાં ત્રીજા સૌથી મોટા ફેરફારના ઉદ્દેશ્યથી યોજાઈ હતી. જો કે, ફેરફારના સમયને લઇને અનિશ્ચિતતા છે પરંતુ સવારે ૧૦ વાગે શપથવિધિ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. કારણ કે મોદી વિદેશ યાત્રા પર રવાના થનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પાટનગરની બહાર કાર્યક્રમો છે. મોટા પાયે કેબિનેટમાં ફેરફાર માટેનો માર્ગ મોકળો કરવા માટે પાંચ પ્રધાનો રાજીનામાં આપી ચુક્યા છે. કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરવામાં આવનાર છે. આવી જ રીતે કેટલાક જુના પ્રધાનોને બહાર કરવામાં આવનાર છે. આવી જ રીતે કેટલાક નવા ચહેરાને તક મળી શકે છે. માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીને રેલવે મંત્રાલયની જવાબદારી મળે તેવી શક્યતા છે.સ્કીલ ડેવલપમેન્ટ પ્રધાન રાજીવ પ્રતાપ રૂડી, આરોગ્ય પ્રધાન ફગનસિંહ કુલસ્તે, કૃષિ રાજ્યપ્રધાન સંજીવ બાલિયન રાજીનામા આપી ચુક્યા છે. જળ સંશાધન પ્રધાન ઉમા ભારતીએ આરોગ્યના કારણસર રાજીનામુ આપી દેવાની ઓફર કરી છે.મધ્યમ અને લઘુ બાબતોના પ્રધાન કલરાજ મિશ્રાને પણ રાજભવન મોકલી શકાય છે. મિશ્રા ૭૫ વર્ષથી ઉપરના છે. પરંતુ તેમને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને કેબિનેટમાં રાખવામાં આવ્યા હતા.
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પસંદગીના બે પ્રધાનોને કેન્દ્રિય કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. જેડીયુમાંથી રામચન્દ્ર પ્રસાદ અને પુર્ણિયાના સાંસદ સંતોષ કુશવાહને પ્રધાન બનાવવામાં આવી શકે છે. કેબિનેટના વિસ્તરણને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે ગઇકાલે ભાજપ પ્રમુખ અમિત શાહના આવાસ પર હાઇ પ્રોફાઇલ બેઠક યોજવામાં આવી હતી. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી અને ભાજપનાકેટલાક કેન્દ્રિય નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આઠ કેન્દ્રિય પ્રધાનો હાજર રહ્યા હતા. જેડીયુ એનડીએમાં સામેલ થઇ ગયા બાદ કેબિનેટ વિસ્તરણને લઇને ચર્ચા ગરમ છે. કેબિનેટમાં ફેરફાર માટેનુ એક કારણ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ દ્વારા રાજીનામાની ઓફર પણ છે. સતત એક પછી એક રેલવે અકસ્માતના કારણે રેલવેપ્રધાન હાલમાં ભારે દબાણ હેઠળ છે. પ્રભુએ થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને રાજીનામાની ઓફર કરી હતી. જો કે થોડાક સમય સુધી રાહ જોવા માટે મોદીએ તેમને કહ્યુ હતુ. ભાજપના નેતા અનિલ માધવ દવેના અવસાનના કારણે આ વર્ષે મે મહિનામાં વિજ્ઞાન પ્રધાન હર્ષવર્ધનને પર્યાવરણ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે નાયડુએ હોદ્દો છોડી દીધા બાદ સ્મૃતિ ઇરાનીને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. રવિવારના દિવસે બ્રિકસ બેઠકમાં હાજરી આપવા માટે નરેન્દ્ર મોદી રવાના થાય તે પહેલા કેબિનેટ વિસ્તરણ કરવામાં આવશે. આગામી ચૂંટણીને લઇને બે વર્ષથી ઓછો સમય રહ્યો છે ત્યારે મોદીનુ ધ્યાન હવે માત્ર સારા કામ પર કેન્દ્રિત છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલા તેને અંતિમ ફેરફાર તરીકે પણ ગણવામાં આવે છે. મહત્વપૂર્ણ મંત્રાલયોને ફુલટાઇમ મંત્રી આપવાનો હેતુ છે. લોકસભા ચૂંટણી આડે બે વર્ષનો સમય રહ્યો છે ત્યારે મોદી પરફોર્મન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

Related posts

પ્રણવ દા ભાજપ સરકારના કાર્યક્રમમાં ઉપસ્થિત

aapnugujarat

દેશમાં કોરોનાની બુલેટ ગતિઃ ૨૪ કલાકમાં ૭૨,૩૩૦ નવા કેસ : ૪૫૯ દર્દીઓના મોત નિપજ્યા

editor

તમિળનાડુ : દિનાકરણ દ્વારા નવી પાર્ટી લોન્ચ કરી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1