મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધાં બાદ આ નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે જે નેતાઓએ રાજીનામા આપ્યા છે તે નેતાઓના પરફોર્મન્સથી પાર્ટી હાઈકમાન્ડ ખુશ ન હતી. આ સંદર્ભમાં પુછવામાં આવતા મોટાભાગના પ્રધાનોએ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી ન હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશના શક્તિશાળી નેતા સંજીવ બાલિયને કહ્યું હતું કે, તેમને રાજીનામુ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું અને તેઓ રાજીનામુ આપી ચુક્યા છે. હવે પૂર્ણ સમય ઉત્તર પ્રદેશમાં પાર્ટી માટે પ્રચાર કરશે. રાજીવ પ્રતાપ રુડીએ કહ્યુું હતું કે, રાજીનામાનો નિર્ણય પાર્ટીનો છે. આ નિર્ણય વડાપ્રધાન, સરકાર અને પાર્ટીનો છે. અમે પાર્ટીના સૈનિકો છીએ. આની પાછળ કોઇ રણનીતિ નથી. પાર્ટી અને પીએમનો આ વિશેષાધિકાર છે. પાર્ટીના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. રાજનામુ આપનાર ફગ્ગનસિંહ કુલસ્તેએ કહ્યું હતું કે, પાર્ટીના તેઓ જવાબદાર સભ્ય છે. બીજી બાજુ ઉમા ભારતીએ આરોગ્યના કારણોસર રાજીનામુ આપી દેવાની ઓફર કરી છે. આ અંગે પૂછવામાં આવતા ઉમા ભારતીએ સાફ શબ્દોમાં કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, આ સંદર્ભમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વધુ સારીરીતે જવાબ આપી શકે છે. તેમને આ અંગે બોલવાનો અધિકાર નથી.