લૉકડાઉન બાદ અનલોક ૧ અને ત્યાર બાદ અનલોક ૨.૦ શરૂ થથા ધીમે ધીમે હવે વેપાર ધંધા શરૂ થવા લાગ્યા છે. બીજી તરફ તસ્કરોએ પણ ચોરીની શરૂઆત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના સરદારનગર વિસ્તારમાં લાખો રૂપિયાની રોકડ અને સોનાનાં દાગીનાની ચોરી થતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
સરદાનગરના ન્યૂ જી-વૉર્ડમાં રહેતા ઉત્તમચંદ ગોલાણીએ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના દીકરા માટે તેઓને નવું મકાન લેવાનું હોવાથી પાડોશી પાસેથી રૂપિયા ૨૦ લાખ ઉછીના લીધા હતા. જ્યારે તેમના પત્નીએ રૂપિયા ૧૭ લાખની બચત અને તેમના દીકરાના ૧૩ લાખ રૂપિયા રોકડા મળી કુલ ૫૦ લાખ રૂપિયા અને બીજા સોનાના દાગીના તીજોરીમાં મૂક્યા હતા.
જોકે, પહેલી જુલાઈના વહેલી સવારે તેઓ જાગી જતા તેઓએ જોયું તો તિજોરીના દરવાજા તૂટેલા હતા અને લોકર પણ તૂટેલું હતું . જેમાં તપાસ કરતા રોકડ રકમ અને દાગીનાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સમગ્ર ઘટનાની જાણ તેમણે પોલીસને કરી હતી.
લાખો રૂપિયાની ચોરી થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે પાંચ તોલા સોનાની બંગડી, દોઢ તોલાની ચેન, અન્ય એક ત્રણ તોલાની ચેન, ડોઢ તોલાની ૩ સોનાની વિંટી, અડધા તોલાની ઇયરિંગ, બે સોનાના પેન્ડલ અને રોકડ રકમ એમ કુલ મળીને ૫૨ લાખ ૪૦ હજારની ચોરીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ