ભારતીય સેના દ્વારા ખરાબ ગુણવત્તાને કારણે ભારતમાં ઉત્પાદિત રાઇફલ્સ પરત કરી દીધી છે. પરત કરાયેલ ‘ઇન્સાસ’ રાઇફલ્સને સ્થાને આવી અન્ય રાઇફલ્સની ખરીદી પર સેના જલ્દી નિર્ણય લેવાની છે. ગત અઠવાડિયે રાઇફલ ફેક્ટરી ઇશાપુર દ્વારા બનાવાયેલી ૭.૬૨ મિમીવાળી આ બંદૂકો ફાયરિંગ પરિક્ષણમાં નિષ્ફળ જતાં સેનાએ આ ઇન્સાસ રાઇફલ્સને પરત કરવાનો નિર્ણય લીધો છે. આધિકારિક સૂત્રો દ્વારા આ અંગે જણાવાયું હતું કે, ‘આ બંદૂકોમાં ઘણી ખામીઓ હતી, જો આ રાઇફલ્સની મેગઝીનની ડિઝાઈનમાં ફેરફાર કરાય તો જ તેને ઉપયોગમાં લઇ શકાશે.’
સૂત્રો અનુસાર પરીક્ષણ સમયે આ રાઇફલ્સ વધારે ચમક અને અવાજ પેદા કરે છે. નોંધનીય છે કે પાછલાં વર્ષે પણ સેનાએ ભારતમાં બનાવાયેલી એક્સકેલિબર ગન્સ સ્વિકારવાની ના પાડી દીધી હતી.
સશસ્ત્ર બળો માટે હથિયારોની ખરીદી પર ચર્ચા કરવાં માટે આજે એક ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવાઇ છે. આ બેઠકમાં રક્ષા મંત્રાલયનાં અધિકારીઓ સિવાય, થલસેના, વાયુસેના અને નૌસેનાનાં પ્રતિનિધી હાજર રહેશે.