શહેરના વિવિધ વિસ્તારોમાં ગઠિયાઓ અને ચેઇન સ્નેચરોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે જેના પરિણામે,ચેઇન સ્નેચીંગ અને તસ્કરીના બનાવો પણ નોંધપાત્ર રીતે વધતા જાય છે. જેમાં ગોતા અને વાડજ વિસ્તારમાં ગઠિયાઓ બે વૃધ્ધાની સોનાની બંગડીઓ અને સોનાની સાત બુટ્ટીઓ મળી કુલ રૂ.દોઢ લાખથી વધુના દાગીના સરકાવી રફુચક્કર થઇ ગયા છે. આ બનાવો અંગે શહેર પોલીસે જરૂરી ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવોની વિગત એવી છે કે, ગાંધીનગરના વલાદ ગામે જૈનવાસ ખાતે રહેતા ૬૨ વર્ષીય દિનાબહેન ચંદ્રકાંતભાઇ શાહ ગઇકાલે બપોરે શટલ રીક્ષામાં ઇન્કમટેક્ષ બસ સ્ટેન્ડથી બેઠા હતા અને ઉસ્માનપુરા બગીચા નજીક ઉતર્યા હતા ત્યારે રીક્ષામાં બેઠેલા ચાર શખ્શ અને એક મહિલાએ દિનાબહેન સાથે વાતચીતમાં ભોળવી તેમની નજર ચૂકવી હાથમાંથી રૂ.૬૦ હજારની કિંમતની સોનાની બંગડીઓ કાઢી લીધી હતી. આ બનાવ અંગે દિનાબહેને વાડજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ જ પ્રકારના બનાવમાં ગોતા વસંતનગર ટાઉનશીપ ખાતે ભગવતીનગરમાં રહેતા વિષ્ણુભાઇ નાગજીભાઇ રબારીના વૃધ્ધ માતા તેમના ઘરમાં સૂઇ રહ્યા હતા એ વખતે કોઇ અજાણી વ્યકિતએ આ વૃધ્ધાના કાનમાંથી રૂ.૯૧ હજારની કિંમતની સાત નંગ બુટ્ટી ચોરી કરીને રફુચક્કર થઇ ગઇ હતી. આ બનાવ અંગે વિષ્ણુભાઇએ સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન ઓઢવ રીંગરોડ પર શિવધામા સોસાયટી ખાતે રહેતા મધુબાલા જગદીશભાઇ પાંડે(ઉ.વ.૫૪)એ ઓઢવ એએમસી પમ્પીંગ સ્ટેશન આગળ આવેલા ેમેદાનમાં રિસેપ્શનમાં સ્ટેજ નજીક મૂકેલ પર્સ કોઇ અજાણી વ્યકિત ચોરી ગયું હતું. આ પર્સમાં ચાંદીની ઝાંઝર અને રોકડા રૂ.૪૦ હજાર સહિત રૂ.૪૨ હજારની મતા હતી જેથી મધુબાલાબહેન પાંડેએ ઓઢવ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના ઓઢવ અને દાણીલીમડા વિસ્તારમાં વધુ બે મહિલાઓના રૂ.૫૦ હજારની કિંમતના સોનાના અછોડા તોડી ચેઇન સ્નેચરો નાસી ગયા છે.
ઓઢવ આદિનાથનગર પાસે મણિલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા ૫૪ વર્ષીય સીયાવતીબહેન ગંગાપ્રસાદ પાલ સોમવારે સાંજે ૬-૧૫ વાગ્યે તેમના વિસ્તારના ઇન્દિરાપાર્ક, હનુમાનજી મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટરસાયકલ પર આવેલા ૨૦થી ૩૦ વર્ષના આશરાના બે અજાણ્યા યુવકો તેમના ગળામાંથી રૂ.૩૦ હજારની કિંમતની સોનાની ચેઇન તોડી નાસી છૂટયા હતા. સીયાવતીબહેને આ અંગે ઓઢવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જયારે લાંભા ઇન્દિરાનગર વિભાગ-૨ ખાતે રહેતા ૪૫ વર્ષીય નિર્મળાબહેન કિરણભાઇ સોમવારે રાત્રે ૯-૪૫ વાગ્યાના સુમારે દાણીલીમડા એસટી વર્કશોપની સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો નિર્મળાબહેનના ગળામાંથી રૂ.૨૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને નાસી છૂટયા હતા. આ બનાવ અંગે નિર્મળાબહેને દાણીલીમડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.