ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકાર ખેડૂતો માટે પેકેજ જાહેર કરી શકે છે. અતિવૃષ્ટીમાં થયેલા નુકસાનના વળતર પેટે ખેડૂતોને રૂ. ૬૦૦ કરોડથી વધુનું પેકેજ ચૂકવાશે. કેબિનેટ બાદ રાજ્ય સરકાર તાજેતરમાં ભારે વરસાદથી જે-જે ખેડૂતોને નુકસાન થયું છે તેઓની માટે રૂ. ૬૦૦ કરોડના પેકેજની જાહેરાત કરી શકે છે.
દક્ષિણ- મધ્ય ગુજરાતમાં ખેતરોમાં પાક તૈયાર થતાં ખેડૂતો પાક લણણીની તૈયારી કરી દીવાળી સારી જવાની આશા રાખી બેઠા હતા ત્યાં કમોસમી વરસાદ ત્રાટકતા તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને શેરડી, મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદમાં ડાગરના પાકને ભારે નુકસાન થયુ છે. આણંદ જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોના હજારો હેક્ટર જમીનમાં તૈયાર થયેલા ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન કરી દેતા ખેડૂતોને માથે ઉઠીને રોવાનો વારો આવ્યો છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સિઝન પૂર્ણ થઇ ગયા બાદ પણ વરસાદ વરસતા ખેડૂતોને કપાસ તેમજ મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન સહેવાનો વારો આવ્યો છે. અમુક જિલ્લામાં વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રમાં પણ મગફળીનો પાક પલળતા તેની ગુણવત્તા અને જીવાતનો ભય ઉભો થયો છે. રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામતા વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોએ આર્થિક વળતરની પણ માંગ કરી હતી. આથી, કેબિનેટ બાદ રાજ્ય સરકાર પાક નુકસાનીને લઇને ખેડૂતો માટે રૂ. ૬૦૦ કરોડનું પેકેજ જાહેર કરી શકે છે.
પાછલી પોસ્ટ