આપણી વૈદિક સંસ્કૃતિ અનુસાર સામાજિક અને સહકારની ભાવના, આપણા મૂલ્યો આપણાં ધાર્મિક તહેવારોમાંથી શીખવા મળે છે, ત્યારે આવી જ અનોખી પરંપરા આપણે જોતા આવ્યાં છીએ અને જે છે ‘ઉજાણી’.
સામાન્ય રીતે ગ્રામીણ સંસ્કૃતિમાં આ મૂલ્ય આજેપણ સચવાયેલું છે,જે મુજબ ગામનાં ઇષ્ટદેવને ઝીલણી અગિયારસના દિવસે સામૂહિક નૈવેદ્ય ધરાવવાની માનતા હોય છે, એવી જ માન્યતા દિયોદરથી પાંચ કિલોમીટર દૂર આવેલા ભેંસાણા ગામમાં છે. દર ભાદરવા સુદ અગિયારસનાં દિવસે ગામના દરેક જ્ઞાતિના લોકો સામૂહિક ઉજાણી કરે છે.
ભેંસાણા ગામમાં ઝીલણી અગિયારસના દિવસે ઉજાણીની પરંપરા વર્ષોથી નિરંતર ચાલી આવી છે જેમાં ગામ લોકો ભેગા મળીને ભગવાન ઠાકર મહારાજની યાત્રા નીકાળીને ગામના તળાવ સુધી જાય છે, જ્યાં ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને નવાં વસ્ત્રો, ઘરેણાં પહેરાવીને ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. ગ્રામજનો પ્રસાદ, શ્રીફળ, શાકભાજી અને ફળો અર્પણ કરી ધન્યતા અનુભવે છે. ભગવાનની યાત્રા દરમિયાન ઢોલ-નગારા અને શંખનાદ સાથે અબીલ-ગુલાલ ઉડાડી ઉત્સવ મનાવવામાં આવે છે.
દિયોદર તાલુકાના અન્ય કેટલાક ગામોમાં પણ ‘ઝીલણી અગિયારસ’ની પોત-પોતાની પરંપરા મુજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેમજ ગામની સ્થાપના વખતે પૂર્વજોએ બાંધેલા ‘ગામ-તોરણ’ની પૂજા કરી ફરીથી બાંધવામાં આવે છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)