અષાઢી બીજના દિવસે વિરમગામ અને રાજ્યભરમાં ઘણી બધી જગ્યાએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાને લઇને મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિરથી નીકળનારી ૩૫મી રથયાત્રાની તડામાર તૈયારીઓ રામ મહેલ મંદિર દ્વારા કરવામાં આવી રહી છે.
રામમહેલ મંદિરના મહંત રામકુમારદાસજી જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ૪૦૦થી વધુ વર્ષ પૌરાણિક રામમહેલ મંદિરથી તા.૨૫ જુન રવિવારના રોજ બપોરે૧૨ કલાકે ભગવાન જગન્નાથજી ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજી વિરમગામની ધરતી પર પરિક્રમા કરી સાંજે ૫.૩૦ કલાકે નીજ મંદિર પધારશે. રથયાત્રામાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ જોડાશે. રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રામમહેલ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, આવામાં વિરમગામના રામમહેલ મંદિરમાં પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં મગના પ્રસાદમાં વધારો કરાતા મહિલાઓ દ્વારા મગની સફાઇ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે તેમજ રથની મરામદ કરાઇ રહી છે.
રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ