ગુજરાત રાજ્ય અન્ન આયોગના અધ્યક્ષ ભૂપેન્દ્ર લાખાવાલાની અધ્યક્ષતામાં, વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ના અમલની સમીક્ષા બેઠક ધારાસભાહોલ, કલેકટર કચેરી, વડોદરા ખાતે મળી હતી. આ બેઠકમાં વડોદરા જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનો, મધ્યાહન ભોજનના કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રોમાં જરૂરિયાતમંદ અને છેવાડાના નાગરિકોને પૂરતા પ્રમાણમાં અને સમયસર અનાજ મળી રહે તે માટે તાકીદ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય અન્ન આયોગના અધ્યક્ષ ભૂપેન્દ્ર લાખાવાલાએ વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ના અમલની સમીક્ષા કરતા, ઉપસ્થિત મામલતદાર અને નાયબ મામલતદારને જણાવ્યું હતું કે, દરેક છેવાડાના નાગરિકને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્દ્વ છે. વડોદરા શહેર/ગ્રામ્યનો પાત્રતા ધરાવતો કોઇપણ નાગરિક ભૂખ્યો સૂવો જોઇએ નહીં. સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને જરૂરિયાતવાળાને સમયસર પહોંચે એ અમારો ઉદ્દેશ છે, જે દુકાનદાર પાસે જેટલા કાર્ડ છે એ પ્રમાણે એની પાસે જથ્થો હોવો જ જોઇએ. ભૂપેન્દ્ર લાખાવાલાએ મધ્યાહન ભોજનમાં અને આંગણવાડીના બાળકોને ગુણવત્તાવાળું ભોજન બાળકોને મળી રહે તે માટે કાળજી રાખવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં રાજ્ય અન્ન આયોગના સભ્ય સચિવ એમ.એ.નરમાવાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અન્નના અભાવે કોઇનું મૃત્યુ ના થાય તે માટે નેશનલ ફૂડ સિક્યોરિટી બિલ અમલમાં આવ્યું છે. અંત્યોદય કાર્ડ ધરાવનાર ગરીબોને ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે ચોખા આપવામાં આવે છે. નિયત થયેલા ભાવોએ, નિયત જથ્થો સમયસર ગરીબ પરિવારોને મળતો રહે તે માટે આ કાયદો અમલમાં છે. નરમાવાલાએ સસ્તા અનાજની બંધ થયેલી દુકાનો માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને દુકાનો ફરી શરૂ થાય તે માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરી હતી.
જિલ્લા કલેકટર પી.ભારતીએ જ્યાં સસ્તા અનાજની દુકાનો ખોલી શકાય તેમ ના હોય ત્યાં ખાસ કિસ્સામાં દુકાનદારોને લાયસન્સ આપીને પણ ગરીબો સુધી અનાજ પહોંચાડવાની તાકીદ કરી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી મનિષા બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના અમલ હેઠળ વડોદરા જિલ્લામાં ૭૫ ટકા ગ્રામ્ય વસ્તી અને ૩૫.૮૧ ટકા શહેરી વસ્તીને આવરી લેવામાં આવી છે. તેમણે અનાજ ન મળવા અંગેની ફરિયાદ માટે જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્રનો સંપર્ક નંબર સાથેના બોર્ડ ૮૦૦ જગ્યાએ દુકાનોમાં લગાવી દેવાયા હોવાની વિગતો પણ આપી હતી. આ બેઠકમાં વડોદરા ગ્રામ્ય અને શહેરના મામલતદાર, નાયબ મામલતદાર અને સંબંધિત અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાછલી પોસ્ટ