રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટે તેમ જ રોજબરોજના કામકાજ માટે તેઓને મળતા દાન પર નિર્ભર રહેવાનું હોય છે. આ દાન તેમને કોર્પોરેટ સેકટર, વ્યકતિગત અથવા ટ્રસ્ટ સહિતના દાતાઓ પાસેથી મળતું હોય છે. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૨૯(સી) હેઠળ વીસ હજારથી વધુના મળેલા દાનની વિગત રાજકીય પક્ષે ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરવાની હોય છે. નેશનલ ઇલેકશન વોચના એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષોએ મેળવેલા દાન અંગે હાથ ધરાયેલા રસપ્રદ વિશ્લેષણમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૫-૧૬ દરમ્યાન છેલ્લા પાંચ વર્ષમાં ભાજપને સૌથી વધુ રૂ.૮૦.૪૫ કરોડનું દાન મળ્યું છે. ભાજપને આ દાન તેના જુદા જુદા ૨૧૮૬ દાતાઓ પાસેથી મળ્યું છે. જયારે કોંગ્રેેસને પાંચ વર્ષમાં ૫૩ દાતાઓ મારફતે ૧૪.૦૯ કરોડનું દાન મળ્યું છે. આ સિવાય સીપીએમ અને બીએસપીને ગુજરાતમાં એક પણ દાન ગુજરાતમાંથી મળ્યું નથી. એડીઆરના રસપ્રદ વિશ્લેષણમાં એ પણ બહાર આવ્યું છે કે, રાજકીય પક્ષોને મળેલી દાનની રકમમાં સૌથી વધુ દાન ૨૦૧૨-૧૩માં રૂ.૪૫.૩૩ કરોડ હતું. વિશ્લેષણમાં એ વાત પણ સામે આવી હતી કે, તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ રૂ.૯૭.૫૫ કરોડ દાનમાંથી રૂ.૧૮.૬૬ કરોડની રકમ અંગ પાન કાર્ડ નંબર જાહેર કરાયા નથી. જે કુલ દાનના ૧૯.૦૩ ટકા થાય છે. ભાજપને સૌથી વધુ એટલે કે, રૂ.૧૦.૧૮ કરોડનું દાન અને ત્યારબાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને રૂ.૮.૪૭ કરોડનું દાન પાન કાર્ડની વિગત વગર મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં સીપીઆઇને જે દાન મળ્યું છે તેમાં એકમાં પણ પાનકાર્ડની વિગતો નથી. રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાંથી રૂ.૯૧.૫૬ કરોડ રૂપિયા ેચેક અથવા ડીડી મારફતે મળ્યા છે. રૂ.૩૫ લાખનું દાન રોકડેથી મળ્યું છે જયારે રૂ.૫.૬૪ કરોડ દાનમાં કેવી રીતે આવ્યા તેની વિગતો હજુ સુધી અધૂરી છે.
પાછલી પોસ્ટ