સુરતના અગ્રણી બિલ્ડર અને અબજોની સંપત્તી ધરાવતા હિતેશ રબારીએ છ મહિના પૂર્વે પોતાની પિસ્તોલથી લમણે ગોળી ધરબી દઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં પહેલેથી જ હિતેશના પરિવારજનોએ જ્યોતિ સોલંકી નામની પરિણીતા સામે શંકા વ્યક્ત કરી હતી. પરંતુ જ્યોતિ વિરુદ્ધ પુરતા પુરાવા ન હોવાથી આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો તેની સામે નોંધાતો ન હતો. છ મહિના બાદ સાયન્ટિફિક પુરાવા પોલીસને હાથ લાગતા આખરે નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ મથકમાં જ્યોતિ વિરુદ્ધ આઈપીસની કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધાયો છે.
ગઈ તા.૨૩-૬-૨૦૧૭નારોજ રાત્રે દોઢેક વાગ્યે હિતેશ રબારીએ તેમના ગણદેવી તાલુકાના ગણદેવા ગામની સીમમાં આવેલા વીર સ્ટડ ફાર્મ હાઉસ ખાતે કપાળમાં ગોળી ધરબી દઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં સુરતના સિટી લાઇટ રોડ પર રહેલી પરિણીતા જ્યોતિ વ્યોમેશ સોલંકીના ત્રાસથી ત્રસ્ત થઈ હિતેશે આ પગલું ભર્યું હોવાની શંકા દર્શાવાઈ હતી. કારણ કે હિતેશ અને જ્યોતિ બન્ને પરિણીત હોવા છતાં બન્ને વચ્ચે અનૈતિક સંબંધો હતા. જેના કારણે જ્યોતિ હિતેશને બ્લેકમેઇલ કરતી હતી.ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યોતિ પાસે હિતેશ અને જ્યોતિની બિભત્સ ક્લિપિંગ હોવાના કારણે તે આ વાતને ધ્યાને લઈ હિતેશ પર લગ્ન કરવાનું અથવા લગ્ન ન કરવા હોય તો સલામતી ખાતર એક વૈભવી ફ્લેટ અને નાણાં આપવાનું દબાણ કરતી હતી.
છેલ્લે આપઘાત કરવાની થોડી જ ક્ષણો પહેલા હિતેશે તેના માતા-પિતા સાથે મોબાઇલમાં વાત કરી તેમાં રડતા રડતા કહ્યું હતું કે હું જ્યોતિ નામની બાઈમાં ફસાયો છું. તમે મીરનું અને પરિવારનું ધ્યાન રાખજો. આ બધા પુરાવા ગુનો નોંધવા માટે પર્યાપ્ત ન ગણાતા પોલીસ ફરિયાદ નોંધતી ન હતી. આખરે હિતેશના મોબાઈલ ફોરેન્સિક સાયન્સ લોબેરટરીમાં મોકલ્યા હતા. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસે જ્યોતિ સોલંકી સામે ગુનો નોંધ્યો છે.