ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સંગઠન હિન્દુ યુવા વાહિની ગુજરાતમાં સક્રિય બની ગઈ છે અને તાજેતરમાં જ ગુજરાતમાં છ લાખ સભ્યો બનાવવા માટેની અધિકૃત ઘોષણા પણ કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસથી જગન્નાથજી મંદિરના મુખ્ય દ્વારની સામે જ જ્યાં ભગવાન જગન્નાથજી રથયાત્રાએ નીકળવાના હોય છે, તે રથ રાખવામાં આવે છે, ત્યાં જ આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેનાથી વધુમાં વધુ લોકો આ પોસ્ટરને જોઈ શકે. બીજી તરફ રવિવારે જગન્નાથજી મંદિર પરિસર ભારત-પાકિસ્તાન મેચથી અલિપ્ત રહીને અહીં પ્રભુ જગન્નાથમય માહોલ છવાયો હતો અને રથયાત્રા પૂર્વેનો આ અંતિમ રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગન્નાથજી મંદિરે ઊમટી પડ્યા હતા.જ્યારે સોમવારે સવારે ૧૦ વાગ્યે મુસ્લિમ સમાજ દ્વારા પણ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત લેવાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રથયાત્રામાં જ્યાં સૌથી વધુ લોકો એકત્ર થાય છે, તે સ્થળે પણ યોગીજીના ફોટા સાથે તેઓના જન્મદિનના અભિનંદન અંગેનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જોકે, મંદિર વ્યવસ્થાપકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પોસ્ટર તો અહીં બે દિવસ પહેલાં જ કોઈ લગાવીને ગયું છે.જ્યારે હિન્દુ યુવા વાહિની દ્વારા જણાવ્યું કે યોગી આદિત્યનાથજીનો તા.૫ જૂનના રોજ જન્મદિન હોવાથી અમદાવાદનાં અનેક સ્થાનોએ આ રીતે પોસ્ટર, બોર્ડ લગાવવામાં આવ્યા છે.જોકે, તેમના જન્મદિન બાદ અહીં કોણે આ પોસ્ટર લગાવ્યું એ પણ પ્રશ્ન છે.જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે તા.૨૫મી જૂન, રવિવારે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળશે તે પૂર્વેના અંતિમ રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા.
સાથે જ ગૌપૂજનથી માંડીને ગજરાજનાં દર્શન અને ગોળ, કેળા ખવડાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. અહીં ભારત-પાકિસ્તાન મેચ કરતાં જ અલિપ્ત એવો પ્રભુમય માહોલ જોવા મળ્યો હતો અને લાંબી કતાર પણ મગદાન માટે જોવા મળી હતી. જ્યારે નિજ મંદિર ખાતે ભગવાન તા.૨૩મી જૂનના રોજ પધારશે.