ભારત સરકારના સફાઇ કર્મચારીઓ માટેના રાષ્ટ્રીય અયોગ (નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારીઝ) ના ચેરમેન મનહર ઝાલાએ હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લાના સફાઇ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેમને યોગ્ય નિકાલ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આયોગના ચેરમેન ઝાલાએ રાષ્ટ્રીય સફાઇ કર્મચારીઝ આયોગની કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે સફાઇ કર્મચારી આયોગ એક વૈધાનિક સંસ્થા છે જે સફાઇ કર્મચારીઓની સમસ્યા, સફાઇ કર્મીઓના કામની જગાએ સુવિધા, સફાઇ કર્મીઓના બાળકોની શિક્ષણની સમસ્યાઓ જાણી તેને સમાધાન કરાવવાનું કાર્ય કરે છે. સફાઇ કર્મીઓના હક્કો અને અધિકારીઓ માટે આયોગ હંમેશા પ્રયત્નશીલ છે. ચેરમેન ઝાલાએ સફાઇકર્મીઓને અપાતી સવલતો વધારવાની સાથે તેમને રાહત દરે ભોજન મળે તેવી વ્યવસ્થા સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ઉભી કરવા માટે અનુરોધ કર્યો હતો. સરહદના સીમાડાઓનું રક્ષણ આપણા સૈનિકો કરી રહ્યા છે, જ્યારે લાખો નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ સફાઇ કર્મીઓ કરી રહ્યા છે એવી લાગણી વ્યક્ત કરતા સફાઇ કર્મીઓને સ્વાસ્થ્ય રક્ષક અથવા સ્વાસ્થ્યના સૈનિકોને યોગ્ય ન્યાય આપવા માટે અપીલ કરી હતી. ઉપરાંત તેઓએ હિંમતનગરના ૠષિનગરના વાલ્મીકી ભાઇઓ સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણની ખાત્રી આપી હતી. જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે એ સાબરકાંઠા જિલ્લામાં સફાઇ કર્મીઓને પરિસ્થિતિ અંગે રૂપરેખા આપી તેમના આરોગ્યના દરકાર અંગે ચોકક્સ કામ કરવાની બાંહેધરી આપી હતી. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં જિલ્લાના સફાઇ કર્મચારીઓને આવરી લેવા જણાવી કહ્યુ હતું કે, સફાઇ કર્મીઓના પ્રતિનિધિઓએ સફાઇ કર્મીઓની ભરતી કરવી, નિવૃતિ બાદ રહેમરાહે નોકરી આપવી, સફાઇ કામદારોના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા, સફાઇ કર્મીઓ માટે આવાસ નિર્માણ, સફાઇ કામગીરી માટે જરૂરી સાધન સામગ્રી પુરી પાડવા, તાલીમ આપી અન્ય વ્યવસાય તરફ પ્રેરિત કરવા જેવી રજૂઆતો કરી હતી.
ચેરમેન શ્રી મનહર ઝાલાએ સફાઇ કામદારોની રજૂઆતો અંગે ઝડપભેર ઉકેલ લાવવા તંત્રના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ