હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં એક અઠવાડિયાથી ખનિજ માફિયાઓ દ્વારા ખનિજની હેરાફેરી રાત્રિના ૧૧ઃ૦૦ થી ૫ઃ૦૦ વાગ્યા સુધી હિંમતનગરના બેરણા રોડ તથા જલારામ મંદિર રોડ પર વારંવાર હેવી લોડિંગ ટ્રકોની અવરજવરના કારણે સ્થાનિક સોસાયટીના રહીશોની ઉંઘ પણ હરામ કરી દેવામાં આવી છે. રાત્રિના સમયમાં જલારામ મંદિર વિસ્તારની અંદરની સોસાયટીમાં કાચા રસ્તા ઉપર લોડિંગ ટ્રકો પુર ઝડપે પસાર થતાં સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આ બાબતે ગઈકાલે રાત્રિના સમયે હેવી લોડિંગ ટ્રકોને અવરજવરને લઈ સ્થાનિકોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લોડિંગ ટ્રકોની અવરજવર બંધ કરાવી દેવામાં આવી હતી. આ અગાઉ પણ આ બાબતને લઇ સ્થાનિક લોકોએ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરી તથા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં સ્થાનિક લોકોએ રાત્રિના સમયમાં અવરજવર કરતાં હેવી લોડિંગ ટ્રકો બંધ કરવા માટે અરજી કરેલ હતી. પોલીસે પણ આ બાબતને ચોક્કસપણે યોગ્ય કાર્યવાહી કરી અવરજવર કરતી ટ્રકો બંધ કરાવવામાં આવી હતી તેમ છતાં છેલ્લા એક અઠવાડિયાથી સ્થાનિકોને પડતી મુશ્કેલી બાબતે ખાણ અને ખનિજ વિભાગ પણ ચૂપચાપ બેઠું હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. તંત્ર દ્વારા રાત્રિના સમયમાં શહેરના જલારામ મંદિર રોડ તથા બેરણા રોડ ઉપર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તો ખનીજ ચોરી ઝડપી શકાય તેમ છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે યોગ્ય કાર્યવાહી કરશે.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)