શહેરના સરખેજ વિસ્તારમાં ફતેહવાડી નજીકથી શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ આશરે બે લાખ રૂપિયાની કિંમતના અંદાજે બે કિલો ચરસના જથ્થા સાથે પકડેલા શખ્સની આકરી પૂછપરછના આધારે આ ચરસ પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર એવા કાશ્મીરી આરોપી અબ્દુલરશીદ અશદઉલ્લા ઝરગરને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે. પકડાયેલા કાશ્મીરી શખ્સ અબ્દુલરશીદે ક્રાઇમબ્રાંચ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેણે અગાઉ પકડાયેલા આરોપી મહંમદઅજીઝ ઉર્ફે પાલા અને તેના ભાઇ મહંમદરફીક ઉર્ફે ચીનાને કુલ પાંચ કિલો ચરસનો જથ્થો વેચવા માટે આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે ચાર દિવસ પહેલાં જીજે ૨૭ ટી-૧૯૩૦ નંબરની સીએનજી ઓટોરીક્ષામાં ચરસના જથ્થો લઇ સરખેજના ફતેહવાડી તરફથી મકરબા ૧૦૦ ફુટ રોડ તરફ જવાના રસ્તે હજીરા મસ્જિદ નજીકથી પસાર થઇ રહેલા આરોપી મહંમદઅજીઝ ઉર્ફે પાલા મહમંદશફી શેખ (ઉ.વ.૪૮)(રહે.૭૩, અજીમપાર્ક, કાજી મસ્જિદ પાસે, ફતેહવાડી, સરખેજ)ને ઝડપી લીધો હતો અને તેની પાસેથી અંદાજે બે લાખ રૂપિયાની કિંમતનો ચરસનો બે કિલો જથ્થો જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં ક્રાઇમબ્રાંચે આરોપી મહંમદઅજીઝની આ ચરસનો જથ્થો તેને કોણે આપ્યો તેની આકરી પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમબ્રાંચે ન્યુ મણિનગરથી જામફળવાડી જવાના રોડ પરથી મૂળ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બ્રીજબહડા તાલુકાના વતની એવા આરોપી અબ્દુલરશીદ અશદઉલ્લા ઝરગર(ઉ.વ.૫૫)ને ઝડપી લીધો હતો. મુખ્ય આરોપીની ધરપકડ બાદ વધુ ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવે તેવા સંકેત છે. પુછપરછ હજુ જારી રહેશે.
આગળની પોસ્ટ