તીન તલાક બિલ પાસ થતાની સાથે જ સરકાર અને વિપક્ષ દળો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જનાર શત્રુઘ્ન સિન્હાએ પણ તીન તલાક બિલ પર પ્રતિક્રિયા આપતા મોદી સરકારના વખાણ કર્યા છે. સિન્હાએ ટિ્વટ કરી હતી કે, સશક્તિકરણ અને લીંગ સમાનતાની દિશામાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રશંસનીય પ્રયત્ન.
અમારા મિત્ર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર મંત્રી પ્રસાદના ટીમવર્કે પણ ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવવામાં મહત્વનું યોગદાન કર્યું છે. આ પગલું મહિલાઓ અને ખાસ કરીને આપણી મુસ્લિમ બહેનોની ગરિમાને સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં બિલ પાસ થયા પછી પીએમ મોદીએ પણ ટિ્વટ કરી બધા જ સાંસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ ટિ્વટ કરી હતી કે, સમગ્ર દેશ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો મુસ્લિમ માતાઓ-બહેનોની જીત થઇ છે અને તેમને સન્માનથી જીવવાનો હક મળ્યો છે. સદીઓથી તીન તલાક કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક અવસકે હું બધા જ સાંસદોનો આભાર વ્યક્ત કરુ છું. જો કે આ મામલે કોંગ્રેસ અને અન્ય વિપક્ષ દળોએ આકરી પ્રતિક્રિયા આપતા કેન્દ્ર સરકાર પર બિલ પાસ કરાવવા છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા.