ઉનાનાં નવાબંદરના રમેશભાઈ ભગવાનભાઈ સોલંકી (ઉ.વ.૩૫)ની ગળે ટૂંપો દઈ બાદમાં પથ્થરના ઘા મારી ક્રુર રીતે હત્યા કરાયેલી લાશ બાવળની ઝાડીમાંથી ઢસડીને ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવને પગલે મૃતકના ભાઈ ભરતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈ ગુનેગારોને શોધી કાઢવા જુનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી તેમજ એસપી રાહુલ ત્રિપાઠીએ અલગ – અલગ ટીમો બનાવી હતી. ફરિયાદમાં શકમંદનું નામ પણ જણાવ્યું હોઈ પોલીસે એ દિશામાં તપાસ આગળ ધરી હતી જેમાં એએસપી અમિત વસાવા, ડીવાયએસપી પ્રજાપતિ સહિતે આરોપીઓને શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરી હતી. આરોપીઓને ટેકલ કરી મરનાર છેલ્લે દીવ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે દીવમાં જુદા જુદા સ્થળેથી સીસીટીવી ફુટેજ મેળવી તેના અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રઝાક કાસમભાઈ શમા ભાડેલા અને મોસીન ઉર્ફે હાજી હારૂનભાઈ ભાડેલાને નવાબંદરથી ઝડપી લીધાં હતાં. બંન્નેની આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓએ ગુનો કબુલી લીધો હતો.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)