૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર છઠ્ઠી જૂનથી શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ સત્ર ૧૫મી જૂન સુધી ચાલશે. ટૂંકા સત્રમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. ૧૭મી લોકસભામાં પ્રથમ સત્રમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પણ રહેશે. રામનાથ કોવિંદ સંસદના સત્રના પ્રથમ દિવસે એટલે કે છઠ્ઠી જૂનના દિવસે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન કરશે. પ્રથમ સંસદ સત્રની તારીખ ૩૧મી મેના દિવસે નવી કેબિનેટની પ્રથમ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવશે. દેશના વડાપ્રધાન તરીકે સતત બીજી અવધિ માટે નરેન્દ્ર મોદીની શપથવિધિ બાદ કેબિનેટની બેઠક યોજાશે જેમાં લોકસભાની પ્રથમ બેઠકને લઇને વિચારણા હાથ ધરવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, પ્રથમ દિવસે જ લોકસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂંક પણ કરવામાં આવશે. ૧૦મી જૂનના દિવસે સ્પીકરની ચૂંટણી યોજાય તે પહેલા નવા ચૂંટાયેલા તમામ સાંસદોને પ્રોટેમ સ્પીકર હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. સ્પીકરની નિમણૂંક બાદ બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના ભાષણના સંદર્ભમાં આભાર દરખાસ્ત રજૂ કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરખાસ્ત ઉપર જવાબ આપશે. રાષ્ટ્રપતિ ગુરુવારના દિવસે સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં મોદી અને કેન્દ્રીય કેબિનેટના અન્ય સભ્યોને શપથ લેવડાવશે અને ત્યારબાદ વિધિવત કામગીરી શરૂ થશે. મોદી ભાજપના એવા પ્રથમ નેતા છે જે પાંચ વર્ષની અવધિ પૂર્ણ થયા બાદ સતત બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. પ્રચંડ બહુમતિ સાથે મોદી દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સિદ્ધિ અગાઉ માત્ર ત્રણ નેતાઓને જ હાંસલ થઇ છે જેમાં જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહનો સમાવેશ થાય છે. હવે મોદી ચોથા એવા નેતા બન્યા છે.
પાછલી પોસ્ટ