ઈડી મની લોંડ્રિંગ કેસમાં રૉબર્ટ વાડ્રાના જામીન રદ કરાવવા માટે દિલ્લી હાઈકોર્ટ પહોંચ્યુ છે. આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે તેમને હાલમાં જ આગોતરા જામીન આપ્યા છે. રૉબર્ટ વાડ્રાએ કોર્ટમાં પોતાની સામે ચાલી રહેલ મની લોન્ડ્રિંગ કેસ હેઠળ ફાઈલ કરાયેલ એફઆઈઆરને પડકારી હતી. તેમણે કોર્ટ પાસે માંગ કરી કે તેને ફગાવી દેવામાં આવે. હાલમાં વાડ્રાને પટિયાલા હાઉસ કોર્ટે પાંચ લાખ રૂપિયાની જાત મુચરકા પર આગોતરા જામીન આપી દીધા છે.
ઈડી રૉબર્ટ વાડ્રાની અરજીનો વિરોધ પણ કરી ચૂક્યુ છે. રૉબર્ટ વાડ્રાની અરજી પર ૧૮ જુલાઈએ સુનાવણી થવાની છે પરંતુ તે પહેલા ઈડીએ કોર્ટને તેમના આગોતરા જામીન રદ કરાવવાનો નિર્ણય કર્યો છે. ગઈ સુનાવણીમાં ઈડીએ વાડ્રાની પૂછપરછ દરમિયાન આવી રહેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો. ઈડીના સલાહકારે કોર્ટને જણાવ્યુ કે વાડ્રા જ્યાં પણ જાય છે તેમની સાથે આખી ’જાન’ જાય છે. તેમણે કહ્યુ, ’તે (રૉબર્ટ વાડ્રા) જ્યાં પણ જાય પછી ભલે તે ઈડી હોય કે કોર્ટ, તેમની સાથે આખી ’જાન’ જાય છે.’
ઉલ્લેખનીય છે કે આ કેસ લંડનના ૧૨, બ્રાયનસ્ટન સ્કવેર સ્થિત ૧૯ લાખ પાઉન્ડ (લગભગ ૧૭ કરોડ રૂપિયા)ની એક સંપત્તિની ખરીદીમાં કથિત મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલો છે. ઈડીવો દાવો છે કે આ સંપત્તિના અસલી માલિક વાડ્રા છે. બીજી તરફ, બીકાનેરમાં એક ભૂમિ ગોટાળા સાથે સંબંધિત અન્ય મની લોન્ડ્રિંગ કેસમાં ઈડી વાડ્રાની સતત પૂછપરછ કરી રહી છે. રાજસ્થાન હાઈકોર્ટે તેમને કેસમાં એજન્સી સાથે સહયોગ કરવાના નિર્દેશ આપ્યા.