જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા હતા તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની ફાઇનલ મેચ આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનાર છે. ફાઇનલ જંગને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
ચેન્નાઇની ટીમ આઠમી વખત ફાઇનલમાં પહોચી છે. આવતીકાલે રવિવારના દિવસે હૈદરાબાદમાં ભારે રોમાંચ વચ્ચે આ મેચ રમાશે. બંને ટીમો ચાર વખત સામ સામે આવી ચુકી છે. ફાઇનલ મેચ માટે તખ્તો ગોઠવાઇ ગયો છે. આઇપીએલ-૨ ક્વાલિફાયર મેચમાં ચેન્ના સુપરે દિલ્હીને હાર આપીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બંને ટીમો હજુ સુધી ત્રણ ત્રણ વખત આઇપીએલ ટ્રોફી પોતાના નામ પર કરી ચુકી છે. બંને ટીમો ટ્રોફીનો ચોગ્ગો લગાવી દેવા માટે તૈયાર છે. છેલ્લી ૧૧ સીઝનમાં બંને ટીમો ૩-૩ ટ્રોફી જીતી ચુકી છે. ફાઇનલ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યાથી મેચનુ પ્રસારણ કરવામાં આવનાર છે. આંકડાની વાત કરવામાં આવે તો ચેન્નાઇની ટીમ આઠ વખત ફાઇનલમાં પહોંચી છે અને ત્રણ વખત જીતી ગઇ છે તે જોતા તેની પાસે તક વધારે રહેલી છે. મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વખત આ કારનામો કરી શકી છે. આ બંને ટીમો વચ્ચે હજુ સુધી ત્રણ ફાઇનલ મેચ રમાઇ છે જે પૈકી બે વખત મુંબઇની ટીમ જીતી છે. રોમાંચક બાબત એ છે કે મુંબઇ ઇન્ડિયન્સે જે ત્રણ વખત આઇપીએલ ટ્રોફી જીતી છે તે પૈકી બે વખત ચેન્નાઇને હાર આપીને ટ્રોફી જીતી છે જ્યારે એક વખત તેને ધોનીની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે કેપ્ટન તરીકે રોહિત શર્માની જીતની ટકાવારી ૧૦૦ ટકા છે. કારણ કે મુંબઇની ટીમે ૨૦૧૦માં જે ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો તેમાં કેપ્ટન તરીકે સચિન તેંદુલકર હતાં.
આ સિઝનમાં ત્રણ વખત ટક્કર થઇ હતી જે પૈકી ત્રણેયમાં રોહિત શર્માની ટીમ જીતી ગઇ હતી. કેપ્ટન રોહિત શર્મા અને ધોનીની કેપ્ટનશીપ જોરદાર રહી છે. બંને ટીમોની તાકાતન વાત કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સની પાસે કેટલાક સ્ટાર ખેલાડી છે જેમાં રોહિત શર્મા અને ડીકોકનો સમાવેશ થાય છે જ્યારે મિડલ ઓર્ડરમાં તેની પાસે સુર્યકુમાર, કિરોન પોલાર્ડ, હાર્દક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા ખેલાડી છે. બોલિંગમાં તેની પાસે જશપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા છે જે ક્રમશ ૧૭ અને ૧૪ વિકેટ લઇ ચુક્યા છે. કેપ્ટન અંગે વાત કરવામાં આવે તો રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની બંને ખુબ ઓછો ગુસ્સો કરતા મેદાનમાં નજરે પડે છે. બીજી એક બાબત પણ બંનેમાં એક સમાન દેખાઇ આવે છે આ બાબત એ છે કે બંને કેપ્ટન પોતાની અંતિમ ઇલેવનમાં ફેરફાર ખુબ ઓછા કરે છે. જીતના સિલસિલાને જાળવી રાખવા માટે વધારે પ્રયોગ કરતા નથી. આ બંને કેપ્ટન પોતાના અંતિમ ઇલેવનના ખેલાડીઓ પર ખુબ વિશ્વાસ કરે છે તે આ બાબત સાબિત કરે છે. બેટિંગમાં વાત કરવામાં આવે તો મુંબઇની ટીમ એકમાત્ર એવી ટીમ છે જેમાં તમામ વિશ્વાસપાત્ર ખેલાડી રહી રહ્યા છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ક્વિન્ટન ડિ કોક સતત સારો દેખાવ કરી રહ્યા છે. મિડલ ઓર્ડર પણ મજબુત નજરે પડે છે. બીજ બાજુ ચેન્નાઇની ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે જેમાં ધોની ઉપરાંત ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન , ઇમરાન તાહિર અને હરભજન સિંહનો સમાવેશ થાય છે.
આગળની પોસ્ટ