વિદેશી મૂડીરોકાણકારોનો આત્મવિશ્વાસ ભારતીય ઇક્વિટી માર્કેટમાં પરત ફર્યો છે. વૈશ્વિક તેલ કિંમતો હળવી બની છે. સાથે સાથે કોર્પોરેટ કમાણીમાં રિબાઉન્ડની સ્થિતિની અપેક્ષા દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૮૪૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જો કે, સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા નેટ પ્રવાહનો આંકડો ઇક્વિટીમાં પહેલીથી ૨૩મી માર્ચ દરમિયાન ૮૪૪૦ કરોડનો રહ્યો છે. તે પહેલા ઇક્વિટીમાંથી ૧૧૦૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ગયા મહિનામાં ૨૫૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. હાલમાં ભારતીય મૂડી માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાનો સિલસિલો અવિરતપણે જારી રહ્યો હતો. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, ફેબ્રુઆરી મહિનામાં એફપીઆઈ માટે વૈશ્વિક અને સ્થાનિક મોરચે સારા સમાચાર રહ્યા નથી. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આના કારણે શેરબજારમાં મોટો ફટકો પડ્યો હતો. એફપીઆઈ પાસેથી પણ ફટકો પડવાની શરૂઆત થઇ હતી. મોડેથી વૈશ્વિક વેચવાલીના કારણે પણ શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડીના દોર વચ્ચે પીએનબી ફ્રોડ અને અન્ય કેટલાક છેતરપિંડીના મામલા સપાટી ઉપર આવ્યા હતા જેના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો પણ હચમચી ઉઠ્યા હતા. ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્થિતિમાં સુધારો થાય તે પહેલા વૈશ્વિક વેચવાલી વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમને લઇને કેટલાક નવા પગલા જાહેર કરી દીધા હતા. આ પ્રકારની સ્થિતિમાં ભારત જેવા ઉભરતા માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાની શરૂઆત થઇ હતી. વિકસિત માર્કેટોમાં નાણા રોકવાની શરૂઆત થઇ હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ શેરબજાર અને ભારતીય બજારોની સ્થિતિ વધારે વણસી હતી. આ વર્ષે હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૧૧૮૪૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જો કે, વિદેશી રોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાંથી ૧૭૦૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ