પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં મંત્રીમંડળનાં સદસ્ય રહિ ચુકેલા પૂર્વ નાણાંમંત્રી યશવંત સિન્હાએ શુક્રવારે નરેન્દ્ર મોદી વિશે એક મોટો ખુલાસો કર્યો છે. યશવંત સિન્હાએ દાવો કર્યો છે કે,૨૦૦૨નાં ગુજરાતનાં કોમી રમખાણો બાદ વાજપેયી ગુજરાતનાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવવા માગતા હતાં.પરંતું વાજપેયીનાં આ નિર્ણયથી ખફા થયેલા તે સમયનાં ભાજપનાં બીજી નંબરનાં નેતા લાલકૃષ્ણ આડવાણીએ કેન્દ્રિય ગૃહમંત્રીનાં પદ પરથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. જેને કારણે અટલ બિહારી વાજપેયીનાં હાથ બંધાઇ ગયા અને નરેન્દ્ર મોદીની સીએમની ખુરશી બચી ગઇ હતી.
ભોપાલમાં મીડિયા સાથેની વાતચીતમાં ભાજપનાં પૂર્વ નેતા યશવંત સિન્હાએ જણાંવ્યું કે,તે વાત તદ્દન સાચી છે કે તત્કાલિન વડાપ્રધાન વાજપેયીએ ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ એવું નક્કી કરી લીધું હતું કે,નરેન્દ્ર મોદીને ગુજરાતનાં સીએમ પદેથી રાજીનામું આપવું જોઇએ. ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક મળી હતી. જેમાં અટલજીએ મન બનાવી લીધું હતું કે,જો મોદી રાજીનામું નહિં આપે તો તેમને બરખાસ્ત કરવામાં આવશે.
યશવંત સિન્હા આગળ વાત કરતા જણાંવે છે કે,જ્યાં સુધી મને જાણકારી છે. તે પ્રમાણે આડવાણીએ આ વાતનો વિરોધ કર્યો હતો. તેમજ વાજપેયીને એ વાત જણાંવી દીધી હતી કે, જો તમે મોદીજીને બરખાસ્ત કરશો તો હું સરકારમાં ગૃહપ્રધાન પદેથી રાજીનામું આપીશ. તેથી આ વાત ત્યાં જ રોકાઇ ગઇ હતી. તેથી જ મોદી પોતાનાં પદ પર યથાવત રહ્યા હતાં.
મોદી અને અમિત શાહને આડે હાથે લેતા સિન્હાએ જણાંવ્યું કે,ભાજપ હવે અટલ-આડવાણીનો ભાજપ રહ્યો નથી.અટલજીનાં સમયમાં વિચારધારાનું ઘર્ષણ નહોતું. તે ઉદારવાદી સમય હતો.જે આજે ભાજપમાં સમાપ્ત થઇ ગયો છે. જો કે આજે લાલકૃષ્ણ આડવાણીનાં વળતા પાણી છે. મોદી-શાહની ભાજપ પાર્ટીએ પહેલા આડવાણીને અપમાનિત કર્યા પછી તેમને સાઇડલાઇન કર્યા અને હવે તો તેમની ટીકિટ કાપીને કાયદેસર રીતે સંસદમાંથી પણ હાંકી કઢાયા છે.યશવંત સિન્હાએ જણાંવ્યું કે વર્તમાન સમયમાં લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે પાકિસ્તાનનો હાથો બનાવ્યો છે. જે ઘણી દુખની વાત છે.
પાછલી પોસ્ટ