પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશમાં ફાસીવાદી સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ભાજપ વિરુદ્ધના પોતાના અભિયાનની સરખામણી ૧૯૪૨ના ભારત છોડો આંદોલન સાથે કરી. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ અહીં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન અને તેમની પાર્ટીને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, ’કોઈએ તો આ જોખમ લેવું પડશે. ૧૯૪૨માં અંગ્રેજો વિરુદ્ધ ભારત છોડો આંદોલન શરૂ થયું હતું, હવે અમે ફાસીવાદી મોદીને સત્તામાંથી હટાવવા માટે લડી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, ’જો મોદી ફરીથી જીત્યા તો દેશમાં આઝાદી કે લોકતંત્ર નહીં રહે. આ જ સમય છે કે આપણે મોદી અને ભાજપને બહારનો રસ્તો દેખાડીએ. આ જ સમય છે કે લોકતાંત્રિક (ચૂંટણીલક્ષી) કવાયત દરમિયાન આ સરકારને ખતમ કરી નાખીએ.
મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, ’લોકો સાર્વજનિક રીતે પોતાનો મત વ્યક્ત કરતા ડરી રહ્યાં છે. તેમણે કહ્યું કે દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. કોઈ પણ ખુલીને બોલી શકતુ નથી. કારણ કે તેઓ તેમનાથી ડરે છે…આ તાનાશાહી અને આતંકને રોકવો પડશે.’