ઈસરો ૨૨ મેનાં રોજ શ્રીહરિકોટાથી રડાર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ કરશે, તેનાથી ભારતની સુરક્ષા વધુ મજબૂત થશે. આ સેટેલાઈટ અંતરિક્ષમાં ભારત માટે એક આંખની જેમ કામ કરશે, તેનાથી ભારતીય સુરક્ષાદળોને બોર્ડર પર નજર રાખવામાં મદદ મળશે. સેટેલાઈટથી પીઓકેમાં આતંકવાદી શિબિરોની ગતિવિધિઓ પણ નજર રાખી શકાશે.
રિસેટ સિરીઝની સેટેલાઈટની તુલનામાં રિસેટ-૨બીઆર-૧ વધુ એડ્વાન્સ છે, જે જોવામાં જૂના સેટેલાઈટ જેવો છે, પરંતુ તેની ટેકનિક પહેલાં કરતાં ખૂૂબ જ અલગ છે. નવા સેટેલાઈટમાં ઈમેજિંગ ક્ષમતાઓ અને નજર રાખવાની ક્ષમતાને વધારાઈ છે.
ઈસરોનાં સૂત્રોના જણાવ્યા મુજબ રિસેટ એક્સબેન્ડ સિન્થેટિક અપાર્ચર રડાર (એસએઆર) માત્ર દિવસ રાત નહીં, પરંતુ દરેક મોસમમાં નજર રાખવાની ક્ષમતા ધરાવે છે એટલું જ નહીં, વાદળમાં હોવા છતાં પણ તે ખૂબ જ સારી રીતે કામ કરે છે.
રિસેટ સિરીઝનાં જૂના સેટેલાઈટનો ઉપયોગ ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઈક અને આ વખતે બાલાકોટના જૈશનાં ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઈક કરવા માટે કરાયો હતો.