સિપાહી તેજબહાદુર યાદવે વારાણસી સંસદીય સીટ પરથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયાં બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજ ખટખટાવ્યો છે. વડાપ્રધાન મોદી વારાણસીથી બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. યાદવે તેમને પડકાર આપવા બીજી વખત ૨૯ એપ્રિલ સપાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું, પરંતુ તપાસ બાદ યાદવની ઉમેદવારી ચૂંટણી પંચે તેને રદ કરી હતી. ત્યારે હવે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટમાં યાદવનો કેસ લડશે.
સપામાંથી ઉમેદવારી પત્ર ભર્યા પહેલાં તેજબહાદુરે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેજબહાદુરને નોટિસ મોકલી હતી, જેમાં કહેવાયું હતું કે તેમના શપથ પત્રમાં નોકરીમાંથી બર્ખાસ્ત કરવાના અલગ અલગ કારણો જણાવવામાં આવ્યા છે. જેનો જવાબ દાખલ કરવા માટે તેને ૧ મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ મુજબ જો કોઈ કર્મચારીને સરકારી નોકરીમાંથી બર્ખાસ્ત કરવામાં આવે તો તેની જાણકારી આપવી જરૂરી હોય છે. જે બાદ આદેશ મળે તો તે ઉમેદવારી પત્ર ભરી શકે છે. પરંતુ તેજબહાદુરે આ નિયમોનું પાલન કર્યું ન હતું.બંને ઉમેદવારી પત્ર રદ થયાં બાદ તેજબહાદુર સપા ઉમેદવાર શાલિની યાદવના સમર્થનમાં પ્રચાર કરી રહ્યાં છે. ગત દિવસોમાં તેના વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. જેના પર યાદવે કહ્યું હતું કે મારા વિરૂદ્ધ સતત ષડયંત્ર થઈ રહ્યાં છે. ભાજપ જાણે છે કે અસલી ચોકીદાર ક્યાંક નકલીને ટક્કર ન આપે. મારું મિશન શાલિની યાદવને જીતાડવાનું છે, તે મારી બહેન છે અને હું ભાઈની ફરજ પૂરી કરીશ.