ફેની વાવાઝોડાને કારણે જગન્નાથપુરીની યાત્રા દર્શનાર્થે ગયેલા ગુજરાતના જામનગર અને રાજકોટના ૪૦૦ જેટલા યાત્રીઓ ત્યાં ફસાયા છે. ઓખા-જગન્નાથપુરી ટ્રેન રદ થતા જામનગર-રાજકોટના ૪૦૦ યાત્રિકો ઓરિસ્સામાં અટવાતાં હવે સરકારી તંત્ર પણ દોડતું થયું છે. ફેની વાવાઝોડાના કારણે ઓરિસ્સા અને આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ અને તારાજી સર્જાઇ હોઇ મોબાઇલ-વીજળી ગુલ હોવાના કારણે ગુજરાતના ફસાયેલા યાત્રિકોનો સંપર્ક થઇ શકતો નથી, જો કે, તંત્રના પ્રયાસો ચાલુ છે અને બધા સલામત હોવાનો દાવો તંત્ર દ્વારા થઇ રહ્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાતના તમામ યાત્રિકોને સહી સલામત રીતે અહીં પરત રીતે લાવી દેવાશે તેવી કટિબધ્ધતા પણ સરકારી તંત્ર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. ઓરિસ્સામાં ફેની વાવાઝોડાની અસરને પગલે ત્યાં ફસાયેલા યાત્રિકોમાં કેટલાક યાત્રિકો રાજકોટના હોવાનું પણ જાણવા મળ્યું છે. કિશોરભાઇ રસોયાવાળાએ જગન્નાથપુરીની યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં જામનગરના ૪૦૦ લોકો આ યાત્રામાં ટ્રેન મારફત તા.૧૭ એપ્રિલના રોજ જગન્નાથપુરી જવા રવાના થયા હતા અને તા.૫ મે એટલે કે, આજે તેઓ પરત ફરવાના હતા. પરંતુ ટ્રેન રદ થતા તેઓ ઓરિસ્સા ફસાયા છે. ફસાયેલા યાત્રિકોના પરિવારજનોમાંથી જામનગરના એક પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, મારી પત્ની અને કાકા-કાકી આ યાત્રામાં ગયા છે. તેઓનો ફોન આવ્યો હતો કે, અમે વાવાઝોડાને કારણે ઓરિસ્સામાં ફસાયા છીએ આથી મેં સરકારને રજૂઆત કરતા ત્યાં તમામને જાહેર રસ્તા પરથી રેસ્ક્યુ કરી રાયપુર ખાતે સલામત ખસેડ્યા છે. હાલ તેઓ બધા સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. તો, બીજીબાજુ, ગુજરાત સરકારે ઓરિસ્સાના અને રાયપુરના વહીવટી તંત્ર સાથે સંપર્ક કરી અને તમામ ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇન્ચાર્જ અને ડે. કલેક્ટર તૃપ્તી વ્યાસે જણાવ્યું હતું કે તમામ ગુજરાતીઓ સલામત છે, ફક્ત તેમના મોબાઇલમાં વીજળીના કારણે બેટરી ચાર્જ ન હોવાથી સંપર્ક થઈ શક્યો નથી. અમે ઓરિસ્સાના વહીવટીતંત્ર અને રાયપુરના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં છીએ. જ્યારે ફેની ત્રાટક્યું ત્યારે તમામ લોકો કોલકાત્તા હતા. તમામ લોકોની કોલકાત્તાથી કટક થઈને રાયપુર સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આજે તેમને કટકથી ૬-૭ જુદી જુદી બસોમાં રાયપુર લઈ આવવાની વ્યવસ્થા કરાઈ છે. જામનગરના કલેક્ટરે રાયપુરના કલેક્ટર સાથે વાતચીત કરી છે. રાયપુરમાં તેમના રહેવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. આવતીકાલે રાયપુરથી બાર વાગ્યે અને ૧.૪૦ બે અલગ અલગ ટ્રેનમાં તેમની અમદાવાદ સુધી આવવાની વ્યવસ્થા કરી દેવાઈ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ