કોંગ્રેસે જૈશ-એ-મોહમ્મદના કુખ્યાત વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવા પર આનંદ વ્યક્ત કર્યો છે. આ સાથે સવાલ કર્યો કે છેવટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બને એમ કેમ ઈચ્છી રહ્યાં છે ?
મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવાના પ્રસ્તાવ પર ચીને પોતાનો વાંધો પરત લીધા બાદ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિએ બુધવારે અઝહરને વૈશ્વિક આંતકીની યાદીમાં સામેલ કર્યો છે, જે ભારતની કૂટનીતિક ક્ષેત્રે મોટી જીત છે.આ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદંબરમે ગુરુવારે કહ્યું કે, ૧૯૯૯માં એક ભારતીય વિમાની હાઈજેક કર્યા બાદ ભાજપ સરકારે મસૂદ અઝહરને મુક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ૨૦૦૮માં મુંબઈમાં થયેલાં આતંકવાદી હુમલા બાદ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ૨૦૦૯માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે કરી હતી. પૂર્વ ગૃહમંત્રી ચિદંબરમે કેટલાક ટ્વીટ કરીને કહ્યું કે, અમને આનંદ છે કે આ પ્રક્રિયા ૨૦૧૯માં સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે. પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન શ્રીમાન મોદીને છેવટે કેમ ફરી વડાપ્રધાન બનતાં જોવા ઈચ્છે છે ?
અહીંયા નોંધવું રહ્યું કે, લોકસભા ચૂંટણી-૨૦૧૯ના ચાર તબક્કાના મતદાન પૂર્ણ થયાના બે દિવસ બાદ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. ગત મહિને ઈસ્લામાબાદમાં વિદેશ મીડિયા સાથેની વાતચીતમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને કહ્યું હતું કે, એમનું માનવું છે કે લોકસભા ચૂંટણીમાં મોદીની પાર્ટી જીતે છે તો ભારત સાથે શાંતિ વાર્તા અને કાશ્મીર મુદ્દા પર વાતચીત થવાની શક્યતા વધારે છે.
આગળની પોસ્ટ