ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી ગૌતમ ગંભીર રાજનીતિની પિચ પર ઉતરી ચૂક્યો છે અને બીજેપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કંડિશનિંગ કોચે તેની ઉપર અસુરક્ષાનો ભાવ, શંકા કરનાર અને ખામીઓથી ભરેલો હોવાનો આરોપ લગાવ્યો છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ મેન્ટલ કંડિશનિંગ કોચ અને રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પેડી એપ્ટોને પોતાની બુકમાં દાવો કર્યો છે કે ગંભીર અસુરક્ષાથી ભરેલો ખેલાડી છે. એપ્ટોને દાવો કર્યો છે કે ગંભીર તેના જીવનમાં સૌથી નકારાત્મક ખેલાડી હતો. જો ગંભીર ૧૫૦ રન બનાવીને આઉટ થાય તો પણ તેને ૨૦૦ રન ન બનાવી શકવાનો અફસોસ થતો હતો.પેડી અપ્ટોનના કરેલા આરોપ પર ગંભીરે પ્રતિક્રિયા આપી છે.
ગંભીરે આઈએએનએસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પેડી એપ્ટોને જે લખ્યું છે તેમાં મને કોઈ પાપ જોવા મળતું નથી. તે એક શાનદાર વ્યક્તિ છે અને આ તેમનો વ્યક્તિગત મત છે. તેમણે ફક્ત બે બાબતો છોડી દીધી છે. પ્રથમ કે તેમણે બધા પક્ષ સામે રાખ્યા નથી અને બીજો કે તે આ સંદર્ભની વ્યાખ્યા કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ગંભીરે આગળ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ એવો ખેલાડી ઇચ્છશે જે પોતાની સફળતાથી સંતુષ્ટ ના થાય. હું ૧૦૦ રનથી સંતુષ્ટ થતા ન હતો, હું વધારે રન બનાવવા માંગતો હતો.
જ્યારે ગંભીરને સવાલ કરવામાં આવ્યો કે અપ્ટોને ૨૦૦૭ અને ૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઇનલમાં તેની ભૂમિકા વિશે કેમ કશું ના લખ્યું તો ગંભીર જવાબ આપ્યો હતો કે મને લાગે છે કે એપ્ટોન મારી દેશને આપેલી સેવાને નકારતા હતા, હું તેના ઉપર કશું કહી શકું નહીં. આ સવાલ તેમના માટે છે મારા માટે નથી. જોકે હું દુઃખી થયો નથી. તથ્યો બધાની સામે છે અને તે જોઈ શકે છે અને નિર્ણય પણ કરી શકે છે.