ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ આજે કોલકાતા ખાતે મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. પોતાની બંને મેચ જીતી ચુકેલી સનરાઈઝ હૈદરાબાદની ટીમ આવતીકાલે કોલકાતા નાઇટ રાઇડર સામે મેદાનમાં ઉતરશે. ઘરઆંગણે કોલકાતા નાઇટ રાઇડર્સ ફેવરિટ તરીકે રહેશે પરંતુ કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઈઝ હૈદરાબાદ જીતના સિલસિલાને જાળવી રાખવા માટે ઉત્સુક છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠવાગ્યાથી કરવામાં આવનાર છે. છેલ્લી મેચમાં ચેન્નાઈ સામે કેકેઆરની પાંચ વિકેટે હાર થઇ હતી પરંતુ આ મેચમાં કેકેઆરે તમામના દિલ જીતી લીધા હતા. શાહરુખ ખાનની ટીમ તરફથી આ વખતે દિનેશ કાર્તિક કેપ્ટન તરીકેની ભૂમિકામાં છે. છેલ્લી મેચમાં ચેન્નાઈ સામે રસેલે ૧૧ છગ્ગા ફટકારીને તમામને રોમાંચિત કરી દીધા હતા. આજની મેચમાં પણ દિનેશ કાર્તિક, નારેન, ઉથપ્પા, રસેલ ઉપર તમામની નજર રહેશે. ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં વિલિયમસન કેપ્ટન તરીકેની ભૂમિકામાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. ટીમમાં ભુવનેશ્વર હુકમના એક્કા તરીકે ફરી એકવાર પુરવાર થઇ શકે છે.મેચને લઇને કોલકાતામાં ચાહકોમાં ઉત્સુકતા છે.