અનામત માટે શરૂ થયેલુ પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થયું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પાસના કન્વિનર હાર્દિક પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે ૧૦ ટકા અનામત આપી દીધી છે એટલે હવે અનામત આંદોલનનો કોઈ મતલબ નથી. પાટીદાર અનામત આંદોલને રૂપાણી સરકારની ઊંધ હરામ કરી દીધી હતી. હવે સરકારે ૧૦ ટકા અનામત જાહેર કરતાં આજે પાસ સહિત પાટીદારોની મળેલી બેઠકમાં હાર્દિક પટેલે મોટો ખુલાસો કરતાં જણાવ્યું છે કે પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થઈ ગયું છે.
આ બાબતે પાટીદાર સમાજમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.આ બાબતે લાલજી પટેલે જણાવ્યું છે કે, આ આંદોલન એ પાટીદાર સમાજનું આંદોલન છે. કોઈ વ્યક્તિ આ આંદોલનને બંધ ન કરી શકે. અમે અમારા સમાજના અગ્રણીઓને પણ સમજાવીશું. આ બાબતે અમારી ચર્ચાઓ ચાલું છે. સરકારે ફક્ત જાહેરાત કરી છે કે સવર્ણોને ૧૦ ટકા અનામત આપીશું. હજુ અમારા પાટીદાર સમાજના યુવાનો પર કેસો ચાલુ છે. શહીદોના પરિવારમાંથી કોઈને નોકરી મળી નથી. સરકારે જાહેરાત કરી તેનો લાભ મળવાનો શરૃ થયો નથી તો આંદોલન કેવી રીતે પૂર્ણ થઈ જાય. અમે અમારા સમાજના આગેવાનો સાથે મળીને આ આંદોલનને આગળ ધપાવીશું. આમ હાર્દિક એ લાલજી પટેલ બંને આગામી દિવસમાં અળગ રાહ પકડે તો નવાઈ નહીં. હાર્દિક પટેલ તો હવે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. જેણે પાસ કમિટીના નામે પાટીદાર અનામત આંદોલનની શૃઆત કરી હતી. હવે તેણે જ આ આંદોલનમાંથી હાથ પરત ખેંચી લીધા છે. આજે ખોડલધામના અગ્રણીઓની હાજરીમાં આ નિર્ણય લેવાયો છે.
સુરતના પાસના નેતા અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ માટે પાટીદાર અગ્રણીઓ સરકાર સાથે ચર્ચા કરશે. આ માટે છ સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. પાસના નેતાઓ અને ખોડલધામ ટ્રસ્ટની રાજકોટમાં બેઠક યોજાઈ હતી. જે બાદ નરેશ પટેલે કહ્યું કે અલ્પેશ સહિતના પાટીદાર યુવાનોની જેલમુક્તિ માટે પ્રયાસ કરવામાં આવશે. સમાજની ઈચ્છા છે કે અલ્પેશ મુક્ત થાય. એટલે આગામી સપ્તાહે સરકારને મળી રજૂઆત કરવામાં આવશે. આમ પાટીદાર સમાજના અગ્રણીઓએ એકઠા થઈને આ આંદોલનને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય સાથે પાસ પણ સહમત હોવાથી હવે પાટીદાર સમાજ માટે અનામત માટે ચાલતું આંદોલન પૂર્ણ થઈ ગયું હોવાની જાહેરાત કરાઈ છે. રૂપાણી સરકાર માટે આ સૌથી મોટા સમાચાર છે. પાટીદાર અનામત આંદોલને ભાજપની ઊંધ હરામ કરી દીધી હતી. લોકસભાની ચૂંટણી બાદ પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થયાની જાહેરાત થઈ છે. પાટીદાર અનામત આંદોલનમાં ૧૪ પાટીદાર યુવાનોનાં મોત થયા છે. જે અનામત આંદોલનનો હવે અંત આવી ગયો છે.બેઠકમાં રાજકોટ આવી પહોંચેલા હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલ સમાજના આગેવાન છે, આગેવાનોએ જવાબદારી સ્વિકારી પણ છે. આંદોલનના કેસો થયા છે તે મુદ્દે ચર્ચા કરીશું. ચૂંટણી પહેલા જે રીતે કેસો કર્યા હતા અને પછી કેસ પાછા ખેચવાની વાતો કરી હતી તે કંઇ થયું નથી. મારી પર ૨૮ કેસ છે. જે સિવાય નાના-મોટા કેસ પાટીદાર યુવાનો પર થયા છે. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય મુદ્દો કથિરીયાની જેલમુક્તિ અને અન્ય પાટીદાર યુવાનો પર થયેલા કેસ પર ચર્ચા કરવાનો જ હતો. ખોડલધામમાંથી ૨, ઉમિયાધામમાંથી ૨ અને પાસમાંથી ૨ સભ્યો પ્રતિનિધિત્વ કરી કમિટી બનાવવામાં આવશે.