યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના ભારતના પ્રયત્નો વચ્ચે પાકિસ્તાને આ મુદ્દે સશર્ત સમર્થન આપવાની વાત કહી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે એક પાકિસ્તાની ટીવી શોમાં રવિવારે કહ્યું કે, પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ ચીફ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે તૈયાર છે, પરંતુ અઝહરનું કનેક્શન પુલવામા હુમલા સાથે ના જોડાવું જોઇએ.ફૈઝલે કહ્યું કે, ભારતે પુરાવા આપવા જોઇએ કે, પુલવામા હુમલામાં મસૂદ અઝહરનો જ હાથ હતો. જો આવું નથી તો અમે તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે વાતચીત કરી શકીએ. આ કોઇ મોટો મુદ્દો નથી. પુલવામા હુમલો બિલકુલ અલગ મુદ્દો હતો અને ભારત જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યું છે.નિષ્ણાતોનું કહેવું છે કે, પાકિસ્તાનનો આ તર્ક બિલકુલ ફાલતુ છે. કારણ કે, હાલમાં પુલવામા હુમલા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ કમિટીમાં મસૂદ અઝહર પર પ્રતિબંધનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તેથી અઝહરને પુલવામા હુમલાથી અલગ ના કરી શકાય. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુકેએ જૈશના ચીફ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં નજીકના ભવિષ્યમાં ગ્લોબલ આતંકી જાહેર કરવાની આશા વ્યક્ત કરી છે. આ ઉપરાંત યુકેએ પાકિસ્તાન સામે આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી. પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ખુદ પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી. ગત મહિને ચીને ટેક્નિકલ હોલ્ડ લગાવીને મસૂદ પર પ્રતિબંધના પ્રયાસો પર પાણી ફેરવી દીધું હતું. આવું ચોથીવાર બન્યું જ્યારે ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ ઉભો કર્યો હતો.