શહેરના બહેરામપુરામાં રહેતી ૧૭ વર્ષીય પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, સગીરાના મોતને લઇ અનેક તર્ક-વિતર્કો અને અટકળો થઇ રહ્યા છે. સગીરાના મોતને લઇ ખાસ કરીને સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે, સગીરાના મોતના આ ચકચારભર્યા પ્રકરણમાં પોલીસની તપાસમાં એક એવી વાત પણ સામે આવી રહી છે કે, સગીરાના સામેના મકાનમાં રહેતી ૫૦ વર્ષીય મહિલા છેલ્લા દોઢેક વર્ષથી તેણીને તેની સાથે મિત્રતા બાંધવાનું કહેતી હતી અને જો મિત્રતા ન બાંધે તો કોઈનું ઘર માંડી લે તેવું કહેતા સગીરાના મનમાં લાગી આવ્યું અને તેણીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. દાણીલીમડા પોલીસે આ બનાવ અંગે હાલ તો, અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ પાડોશી મહિલા લેસ્બિયન સંબંધ બાંધવા દબાણ કરતી હતી કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના બહેરામપુરામાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. તેના ઘરની સામે ૫૦ વર્ષીય મહિલા રહે છે. દોઢ વર્ષથી મહિલા સગીરાને તેની સાથે મિત્રતા બાંધવા માટે વાંરવાર દબાણ કરતી હતી. પરંતુ સગીરા તેની સાથે મિત્રતા કરવા તૈયાર ન હતી. ગઈકાલે સવારે મહિલા સગીરાના ઘર સામે મન ફાવે તેવું બોલવાનું ચાલુ કર્યું હતું. તેણે સગીરાને કહ્યું હતું કે, તુ મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહિંતર કોઈની સાથે ઘર માંડી લે તેવું કહ્યું હતું. આ રીતે બોલાચાલી કરતા સગીરાને મનમાં લાગી આવ્યું હતું અને તેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દાણીલીમડા પોલીસ સ્ટેશનના પી.આઈ વી.આર.વસાવાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઘરમાં મરણના કારણે પરિવારજનોની પુછપરછ થઈ શકી ન હતી. આજે તેના પરિવારજનોના નિવેદન લેવામાં આવશે. મહિલા લેસ્બિયન સંબંધ બાંધવા માટે કહેતી હતી કે પછી સામાન્ય મિત્રની જેમ મિત્રતા રાખવા દબાણ કરતી હતી કે કેમ? તે અંગે નિવેદન બાદ સામે આવશે. પોલીસે હાલ તો સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.