વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા બેઠકથી નહીં લડવાનો નિર્ણય પ્રિયંકા ગાંધી વાડ્રાનો પોતાનો હોવાનું ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ જણાવ્યું હતું. કોંગ્રેસે આ બેઠક પરથી પોતાના અગાઉના જ ઉમેદવાર અજય રાયને મેદાનમા ઉતાર્યા છે.‘વારાણસીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય પ્રિયંકાનો હતો, તેની સામે અન્ય જવાબદારીઓ રહેલી છે. એક જ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમણે પોતાની વ્યાપક જવાબદારીને વધુ મહત્વની સમજી હતી. આ જ કારણથી તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો.’ કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને મહાસચિવનું પદ આપીને લોકસભામાં પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી હતી ત્યારથી જ પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી.કોંગ્રેસના સમર્થકોએ પણ પ્રિયંકા ગાંધીને વારાણસી અથવા અલ્હાબાદ બેઠકથી ચૂંટણી લડાવવા માગણી કરી હતી. જોકે પ્રિયંકા ગાંધીએ આ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર છોડ્યો હોવાનું એક નિવેદનમાં જણાવ્યું હતું. ગુરુવારે વડાપ્રધાન મોદીએ મેગા રોડ શો યોજ્યો હતો તેમજ ગંગા આરતી પણ કરી હતી. કોંગ્રેસે મોદીના રોડ શો પૂર્વે જ ઉમેદવાર તરીકે અજય રાયના નામની જાહેરાત કરી દીધી.વારાણસીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય ખુદ પ્રિયંકા ગાંધીએ લીધો હોવાનું સામ પિત્રોડાએ જણાવ્યું હતું. પિત્રોડાએ અગાઉ ભારતે કરેલી એર સ્ટ્રાઈક અંગે કરેલા નિવેદનથી પણ વિવાદ થયો હતો. પિત્રોડાએ જણાવ્યું હતું કે પુલવામા ખાતેના હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનો માટે સમગ્ર દેશ પર હુમલો કરવો યોગ્ય નથી. પાડોશી દેશના કેટલાક લોકો અહીં આવીને હુમલો કર્યો તેના માટે સમગ્ર દેશને દોષિત ઠેરવી શકાય નહીં તેમ પિત્રોડાએ નિવેદનમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મોદી સરકાર પાસેથી બાલાકોટના પુરાવા પણ માંગ્યા હતા જેમાં કેટલા આતંકીઓનો ખાત્મો બોલાવ્યો તેના દાવા વિશે સ્પષ્ટતા કરવા પણ જણાવ્યું હતું.ભાજપે આ મુદ્દે પિત્રોડા પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસ વતી તેઓ પાકિસ્તાન દિવસની ઉજવણી કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.