આયુર્વેદમાં એવાં ઘણાં ઔષધો છે કે જે, ડાયાબિટીસ રોગ ઉપર ખૂબ જ અદ્ભુત પરિણામ આપે છે. પરંતુ ઔષધપ્રયોગ નિષ્ણાંતની સલાહ મુજબ જ કરવો. ’’ડાયાબિટીસ’’ શબ્દ સાંભળતા જ માણસ હેરાન-પરેશાન થઇ જાય છે. પરંતુ આ શબ્દથી એટલી બધી ગભરાવાની જરૂર નથી. ડાયાબિટીસ સાથે પણ નોર્મલ જીવન જીવી શકાય છે, શરત માત્ર એટલી જ છે કે, સંયમપૂર્વકની જીવનશૈલી. ડાયાબિટીસનો રોગ શ્રમ વગરનું બેઠાળું જીવન, ચિંતા, તથા અનિયમિત જીવનશૈલીના કારણે થતો હોય તેવું તારણ બહાર આવેલ છે.અંતઃસ્ત્રાવથી ગ્રંથિઓનાં રોગોમાં સર્વાધિક જોવા મળતો આ રોગ છે. આ રોગમાં શરીરમાં ખાંડનું પ્રમાણ વધી જાય છે. પરિણામે શરીરનો દ્રવ પદાર્થ મધુર બનીને મૂત્ર દ્વારા બહાર નીકળે છે. જેથી આ રોગને ડાયાબિટીસ મેલાઇટસ અને આયુર્વેદમાં ’મધુમેહ’ના નામે ઓળખવામાં આવે છે.આપણા શરીરમાં અગ્નાશય નામની ગ્રંથિ આવેલી છે. આ અગ્નાશયમાં આલ્ફા અને બીટા નામનાં કોષો આવેલાં છે જેમાં બીટા સેલ્સ આપણા શરીરની શર્કરાનું શક્તિમાં રૂપાંતર કરે છે. પરંતુ જ્યારે આ કોષોની શક્તિ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરી શક્તી નથી કે મંદ પડે છે, ત્યારે વ્યક્તિને ડાયાબિટીસ થાય છે.શરીરનાં લોહીમાં જેટલી ઝડપથી ગ્લુકોઝ આવે છે, તેટલી ઝડપથી શરીરના અંગો લોહીમાંના ગ્લુકોઝને દૂર કરી શક્તાં નથી, પરિણામે રક્તમાં ગ્લુકોઝની વૃધ્ધિ થાય છે, અને તે મૂત્ર દ્વારા બહાર નીકળે છે, જેને આપણે ’ડાયાબિટીસ’ તરીકે ઓળખીએ છીએ. ડાયાબિટીસનો રોગ મોટાભાગે ૪૦ વર્ષની ઉંમર પછી વધારે થતો જોવામાં આવે છે. તેમજ બાલ્યકાળમાં પુરુષ બાળકોમાં અને પ્રૌઢાવસ્થામાં સ્ત્રીઓમાં અધિક જોવા મળે છે. વારસાગત કારણોને લીધે આ રોગ ૨૫% બાળકોમાં જોવા મળતો હોય છે.મધુમેહનો રોગ ધીરે ધીરે થાય છે. આ રોગનાં રોગીને વારંવાર મૂત્રત્યાગ કરવા જવું પડે છે, જેથી વારંવાર દર્દીને તરસ પણ લાગે છે.આ ઉપરાંત મધુમેહના રોગીનાં ચહેરા પર ફીકાશ, શરીરમાં થાક લાગવો કે નબળાઈ લાગવી વગેરે આ રોગનાં સામાન્ય લક્ષણો છે. ડાયાબિટીસનાં ઘણાં દર્દીઓને શરીર પર ખંજવાળ આવવી, તેમજ પગમાં ખૂબ દુખાવો થવો, બળતરા વગેરે લક્ષણો પણ ઘણીવાર જોવા મળતા હોય છે. મધુમેહની સારવારમાં આહારમાં નિયંત્રણ એ સારવારનો ખૂબ જ અગત્યનો ભાગ છે. આ ઉપરાંત મધુમેહનાં રોગીમાં નિયમિત વ્યાયામ, ઔષધસેવન અને ઇન્સ્યુલિન પ્રયોગ પણ ખૂબ જ મહત્ત્વનાં પરિબળો છે. ડાયાબિટીસવાળા દર્દીઓએ ઘઉંના બદલે જવ વધારે ખાવાનો આગ્રહ રાખવો, તથા ચોખા શેકીને ઉપયોગમાં લેવાં.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ