શહેરના દરિયાપુર વિસ્તારમાં બે દિવસ પહેલાં રાજુ બુટલેગરની થયેલી કરપીણ હત્યા મામલે પોલીસે આજે મુખ્ય આરોપી બુટલેગર ભદ્રેશ ઉર્ફે ભુરજી મહારાજ ઠાકોર અને તેના સાગરિત મુકેશ ઉર્ફે અગુલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં બુટલેગર ભદ્રેશની પત્ની સાથે બુટલેગર રાજુના આડાસંબંધ હોવાની આશંકામાં ભદ્રેશે બુટલેગર રાજુની હત્યા કરી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. જો કે, પોલીસે બનાવ અંગે આગળની તપાસ જારી રાખી છે. બે દિવસ પહેલાં જ શહેરના દરિયાપુર વિસ્તારમાં બુટલેગર રાજુની તીક્ષ્ણ હથિયારના ૫૦ જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, રાજુ ઉર્ફે લોગી ગંગારામ વાઘેલા છેલ્લા ઘણા સમયથી દારૂનો વેપાર કરે છે અને ગંભીર ગુનામાં તેને તડીપાર પણ કરાયો હતો. થોડાક દિવસ પહેલાં જ તે પોતાના ઘેર પરત રહેવા આવ્યો હતો. દરિયાપુર વિસ્તારમાં જ બુટલેગર ભદ્રેશ ઉર્ફે ભુરજી મહારાજ ઠાકોર સાથે તેનો પરિચય હોવાથી રાજુ તેના ત્યાં અવારનવાર આવતો જતો હતો. જો કે, છેલ્લા એક વર્ષથી દારૂના ધંધાની અદાવતને લઇ બંને વચ્ચે બોલાચાલી અને તકરાર ચાલતી હતી, બીજીબાજુ, ભદ્રેશને એવી પણ શંકા હતી કે, બુટલેગર રાજુના તેની પત્ની સેજલ સાથે આડા સંબંધ છે. આ અદાવતમાં જ ભદ્રેશે બુટલેગર રાજુને પતાવી દીધો હોય તેમ પોલીસ માની રહી છે. રાજુ બુટલેગરની હત્યા બાદ બંને આરોપીઓ ફરાર થઇ ગયા હતા પરંતુ પોલીસે ભારે શોધખોળ બાદ તેઓના લોકેશન ટ્રેસ કરી આરોપી બુટલેગર ભદ્રેશ અને તેના સાગરિત મુકેશ ઉર્ફે અગુલને સિધ્ધપુરથી ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીની પુછપરછ હાથ ધરી છે.
આગળની પોસ્ટ