પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તરફથી ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદીને લઇ આપેલા નિવેદન પર હવે ભાજપ મહાસચિવ રામ માધવે જવાબી હુમલો કર્યો છે.
તેમણે કહ્યું કે જો ઇમરાન ખાન ભારતીય ચૂંટણીઓથી દૂર રહે તો સારું છે. આ પહેલાં પણ સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામને પણ ઇમરાનના નિવેદન પર કહ્યું હતું કે બની શકે છે કે આ કોંગ્રેસની સાજિશ હોય.ઇમરાને કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો કાશ્મીર મુદ્દાનો કોઇ ઉકેલ આવી શકે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે જો ભારતમાં આગામી સરકાર કોંગ્રેસના નેતૃત્વમાં બની તો તે પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવામાંથી પાછળ હટી શકે છે.
રામ માધવે કહ્યું કે ભારતના વડા પ્રધાન કોણ હશે અને કોણ નહીં તેનો નિર્ણય ભારતવાસીઓ કરશે. આપણે ખૂબ જ બુદ્ધિશાળી છીએ અને સરહદ પારના લોકો પાસેથી કોઇ સલાહની જરૂર નથી. જ્યારે અમે ફરીવાર સત્તામાં આવીશું તો અમને જાણ છે કે પાડોશીઓ સાથે કેવો વ્યવહાર કરવો. અમારે સરહદ પારથી કોઇ પણ વ્યક્તિના સલાહ-સૂચનો કે સમાધાનની જરૂર નથી.