ગુજરાતમાં ૨૩મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે હાલ ઠેરઠેર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને લાફો મારી દીધો હતો. જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી થઈ હતી.
હાર્દિક ઉપર થયેલા હુમલા અંગે કોંગ્રેસમાંથી છેડો ફાડનાર અને એક સમયે હાર્દિક પટેલના ખાસ મિત્ર માનવામાં આવતા અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલને સંયમ રાખવાની સલાહ આપી હતી જ્યારે ૧૪ પાટીદારોના મોત માટે હાર્દિક પટેલને પણ જણાવ્યું હતું.હુમલા અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ ઘટના નિંદનીય છે. જે યુવકે હુમલો કર્યો હતો એને પણ હું વખોડું છું, ત્યારબાદ યુવકને માર મરાયો તેને પણ વખોડું છું. રાજનીતિનું સ્તર કઇ જગ્યાએ અને કેટલી હદ સુધી નિમ્ન કક્ષાએ જઇ રહ્યું છે એ આ બતાવે છે. જાહેર મંચ ઉપર બનેલી આ પ્રકારની ઘટનાને વખોડું છું.અલ્પેશે જણાવ્યું હતું કે, આ એક નિમ્ન કક્ષાની રાજનીતિ થઇ રહી હતી. આ ઘટનાની તટસ્થ તપાસ થવી જોઇએ. આંદોલન સમયે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે તેમના સમર્થકો ઉશ્કેરાયા અને હિંસા ફાટી નીકળી, બસો સળગી, મોલો તૂટ્યા. આ હીંસામાં ૧૪ લોકોના મોત થયા છે એનું દુઃખ હોવું જોઇએ.૧૪ લોકોના મોતની જવાબદારી કોની એ અંગે અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે, આંદોલકારી તરીકે લોકો આપણા વિચારો અને વર્તનને અનુસરતા હોય છે. તો હું એવું માનું છું કે, ૧૪ લોકોના મોતની જવાબદારી આંદોલનકારી તરીકે હાર્દિક પટેલની ગણી શકાય છે.ઉલ્લેખનીય છે કે, ભાજપે આ હુમલો કરાવ્યો હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ લગાવ્યો છે. હુમલા બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. હાર્દિકના કહેવા પ્રમાણે તેણે ફક્ત જાણવાજોગ અરજી આપી છે.