દેશભરની વિવિધ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ હવે દર્દીની સંમતિ હોવા છતા પણ તેમની સાથે શારીરિક સંબંધ બાંધી શકશે નહીં. મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકામાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.
મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા તરફથી જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકામાં આ ઉપરાંત ઘણા બધા રસપ્રદ સૂચનો કરવામાં આવ્યા છે.જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, દર્દીની મંજૂરી હોવા છતાં પણ ડોક્ટર કોઈ પણ દર્દી સાથે શારીરિક સંબંધ નહીં બાંધી શકે.
આટલું જ નહીં કોઈ દર્દી તેમને પોતાની તરફ આકર્ષવા માટેનો પ્રયાસ કરે અથવા સંબંધ બાંધવાની પહેલ કરે ત્યારે પણ ડોક્ટર્સે આ પ્રકારના સંબંધનો અસ્વિકાર કરવો જ યોગ્ય રહેશે.મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા આચારસંહિતા સમિતિના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘થોડા દિવસ અગાઉ દિલ્હી હાઈકોર્ટે યૌન દુર્વ્યવહાર બાબતે મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સ વિશે પૂછ્યું હતું. ત્યારબાદ અમે નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે.’ ભારતીય મનોચિકિત્સક સોસાયટીના સભ્ય અને નાગપુરના ડોક્ટર સુધીર ભાવેએ કહ્યું કે, મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ પર અમલ કરવાથી ઘણો ફરક પડશે.