ચીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મામલે પોતાનું વલણ યથાવત રાખ્યું છે. ચીને બુધવારે કહ્યું કે, તેઓ આ મામલાને યોગ્ય રીતે સમજૂતી તરફ લઇ જઇ રહ્યા છે. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા તેના પર કોઇ પણ પ્રકારે દબાણ ના બનાવે. ચીને કહ્યું કે, ત્રણ દેશ મસૂદ મામલે પોતાનો પક્ષ રાખી શકે છે, પરંતુ કોઇ પણ પ્રકારે દબાણ ના બનાવી શકે. ચીનની સામે કોઇ અંતિમ તારીખ નથી. ચીનના અધિકારીઓએ કહ્યું કે, ૧૨૬૭ કમિટીના નિયમો હેઠળ આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અઝહર મસૂદ મામલે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે, બીજિંગ પહેલેથી જ અમેરિકા, યુકે અને ફ્રાન્સની અપીલને રિજેક્ટ કરી ચૂક્યું છે. મસૂદ મામલે ચીનનું વલણ પહેલાં જેવું જ છે. અમે સંબંધિત પાર્ટીઓ સાથે વાત કરી મામલાને યોગ્ય દિશામાં ખતમ કરવા આગળ વધી રહ્યા છે. આ બધું જ ૧૨૬૭ કમિટીના નિયમો હેઠળ જ થશે.
જ્યારે લૂને પૂછવામાં આવ્યું કે, શું બીજિંગે ૧૨૬૭ કમિટીની સામે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે ૨૩ એપ્રિલ સુધીની સમયસીમા નક્કી કરી છે? તેના જવાબમાં લૂએ કહ્યું કે, મને ખ્યાલ નથી કે, તમને આ જાણકારી ક્યાંથી મળે છે, આવા મામલા માટે સિક્યોરિટી કાઉન્સિલ અને ૧૨૬૭ કમિટી જેવી સહાયક સંસ્થાઓ છે. જેની પાસે સ્પષ્ટ નિયમો છે અને તેઓની પાસે જ સ્પષ્ટીકરણ કરવું જોઇએ.
આગળની પોસ્ટ