કોંગ્રેસના આંતરિક વિખવાદ, આંતરિક અસંતોષ તથા આંતરિક લોકશાહીના અભાવ સ્વરુપે પાર્ટીમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. જેના ભાગરુપે માણસા કોંગ્રેસના નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, વરિષ્ઠ આગેવાનો સહિત ૧૫૦ જેટલા કાર્યકરો આજે ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટે માહિતી આપતા ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ માણસા શહેર પ્રમુખ તુષાર જાની, માણસા શહેરના મહામંત્રી આશિષ પ્રજાપતિ, ગાંધીનગર જિલ્લા સંગઠન મહામંત્રી પિયુષ રાઠોડ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આ અવસર પર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભટ્ટે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં વિખવાદથી કોંગ્રેસના વરિષ્ઠ સભ્યો પરેશાન હતા. મોદી અને અમિત શાહના નેતૃત્વ તેમજ વિકાસવાદી રાજનીતિના કારણે પ્રભાવિત થઇને કોંગ્રેસ નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જેથી પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત થશે. અનેક સિનિયર આગેવાનો પણ પાર્ટીમાં સામેલ થયા હોવાનો દાવો તેમણે કર્યો હતો.