રાફેલ કેસમાં નવા દસ્તાવેજોને પૂરાવા તરીકે સુનાવણી પર લાવવાનો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં લોકતંત્રને મજબૂત કરવા માટે પ્રેસની આઝાદી અત્યતં મહત્ત્વની છે પરંતુ સાથોસાથ પ્રેસમાં પક્ષપાતની પરેશાની કરનારી વધી રહેલી પ્રવૃત્તિ ઉપર ચેતવણી પણ આપી હતી. કોર્ટે કહ્યું કે દેશમાં એવો કોઈ કાયદો નથી જે પ્રેસને ખાનગી દસ્તાવેજો છાપવાથી રોકી શકે અથવા આવા દસ્તાવેજોને કે જે કોર્ટમાં રજૂ કરવામાં આવનારા છે તે પ્રતિબંધિત કરી શકે.
ત્રણ જજની બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઈ અને એસ.કે.કૌલે અંગ્રેજી અખબારમાં રાફેલ ડીલના ખાનગી દસ્તાવેજો છપાવા પર કેન્દ્ર સરકારની આપત્તિઓના સંદર્ભમાં આ વાત કહી હતી. એટર્ની જનરલ વેણુગોપાલે દલીલ આપી હતી કે આ અહેવાલે ગેરકાયદેસર રીતે હાંસલ કરવામાં આવેલા ખાનગી દસ્તાવેજો પર આધારિત છે એટલા માટે તેને સમીક્ષા અરજી પર સુનાવણી માટે રેકોર્ડ પર ન લેવા જોઈએ. બેન્ચે કહ્યું કે છાપવાનો આ અધિકાર અભિવ્યકિતની બંધારણીય ગેરંટી અનુસાર છે. આ દસ્તાવેજોનું પ્રકાશન બેન્ચને પ્રેસની આઝાદીના ૧૯૫૦થી સતત અપાઈ રહેલા ચુકાદાઓની યાદ અપાવે છે.
જસ્ટિસ રંજન ગોગોઈ અને એસ.કે.કૌલે કહ્યું કે શાસકીય ગોપનીયતા કાયદો-૧૯૨૩ તથા કોઈ અન્ય કાયદો કે આવી કોઈ જોગવાઈ અમારી સામે લાવવામાં નથી આવી જેમાં સંસદે સરકારને એટલી શકિત આપી હોય કે તે ખાનગી દસ્તાવેજોને છાપવાથી રોકી શકે અથવા તેને પ્રતિબંધિત કરી શકે અથવા આવા દસ્તાવેજોને કોર્ટમાં રજૂ કરવાથી રોકી શકે જ્યારે કોર્ટ આવા મુદ્દાને નિર્ણિત કરી રહી હોય જે પક્ષો સાથે સંબંધિત હોય.