લોકસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હવે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ રજૂ કરી શકાશે નહીં. ચૂંટણી પંચ દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તે પહેલા સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અંગે નિર્ણય લેવાની જવાબદારી ચૂંટણી પંચ ઉપર છોડી હતી. આચારસંહિતા અમલી હોવાના લીધે ફિલ્મને લઇને હોબાળો થઇ રહ્યો હતો. ચૂંટણી પંચે ફિલ્મની રજૂઆત પર બ્રેક મુકી દીધી છે. ચૂંટણી પંચનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આ ફિલ્મની રજૂઆતને લઇને ચર્ચા ચાલી રહી હતી. લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં મતદાન આવતીકાલે યોજાનાર છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરીને દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ મામલા પર નિર્ણય લેવાનો અધિકાર ચૂંટણી પંચની પાસે છે. ફિલ્મ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ આદર્શ આચારસંહિતાનો ભંગ કરે છે. કોર્ટે અરજીને ફગાવી દઇને કહ્યું હતું કે, હજુ સુધી સેન્સરબોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી. ફિલ્મ મોદીની બાયોપિક છે અને વોટર્સને પ્રભાવિત કરી શકે છે. મામલા ઉપર ધ્યાન આપી રહેલા લોકોનું કહેવું હતું. કોંગ્રેસના અભિષેક મનુુ સિંઘવીએ હાલમાં જ કહ્યું હતું કે, ફિલ્મના ગીત ભાજપના પ્રચારમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. ટ્રેલરમાં કેટલાક એવા સીન રાખવામાં આવ્યા છે જે મતદારોને પ્રભાવિત કરી શકે છે. અરજી કરનાર લોકોનું કહવું હતું કે કોર્ટ ફિલ્મના નિર્દેશકને ફિલ્મની નકલ આપવા માટે આદેશો જારી કરે.