દહેરાદુન, અમરોહા અને સહરાનપુરની ચુંટણી સભામાં વડાપ્રધાન મોદીએ આક્ષેપ કરતા ખળભળાટ
લોકસભા ચુંટણીને લઈને રાજકીય ગરમી વધી રહી છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં પરિવાર અને અહેમદ પટેલની સીધી સંડોવણી હોવાનો ઘટસ્ફોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્યો હતો. ઈડીએ તેની ચોથ પુરક ચાર્જશીટમાં એવો આક્ષેપ પણ કર્યો હતો કે યુપીએ સરકારમાં મહત્વપૂર્ણ રાજકીય લોકોને જંગી કટકી ચૂકવી દેવામાં આવી છે. ઈડીની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં પરિવાર અને અહેમદ પટેલની સીધી સંડોવણી રહેલી છે. મોદીએ આજે દહેરાદુનમાં એક ચુંટણી રેલીને સંબોધીને આકરા પ્રહાર કર્યા હતા. દહેરાદુનમાં રેલીમાં બોલતા મોદીએ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાબાજી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટના આક્ષેપોનો સીધી રીતે ઉલ્લેખ કર્યો હતો અને આ આક્ષેપોનો ઉપયોગ કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે હેલિકોપ્ટર કૌભાંડમાં વચેટિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ એપી અને અન્ય ફેમને જંગી નાણાં ચુકવ્યા હતા. ફેમ એટલે ફેમેલી શબ્દોનો સમાવેશ થાય છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે એપીનો મતલબ અહેમદ પટેલ અને ફેમનો મતલબ ગાંધી પરિવાર છે. ગુરૂવારના દિવસે ઈડી દ્વારા પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં મિશેલ દ્વારા કેટલીક બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ભાજપે દાવો કરતા કહ્યું છે કે અહેમદ પટેલ કોંગ્રેસના નજીકના સાથી તરીકે છે. બીજી બાજુ આજે કોર્ટમાં મિશેલે કહ્યું હતું કે તેના દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યો નથી. મિશેલે એફિડેવિટમાં આક્ષેપ કરતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજકીય દ્વેષભાવ માટે સંસ્થાઓનો ઉપયોગ કરી રહી છે. ઈડીએ તેની પૂરક ચાર્જશીટમાં આક્ષેપ કરતા કહ્યું છે કે યુપીએના મહત્વપૂર્ણ લોકો, ડિફેન્સના અધિકારીઓ અને અધિકારીઓને ઓગસ્ટા વેસ્ટલેન્ડની તરફેણમાં ૩૬૦૦ કરોડ રૂપિયાની સોદાબાજી કરવા જંગી નાણાં કટકી રીતે ચુકવવામાં આવ્યાં હતાં. નરેન્દ્ર મોદીએ આજે રેલીમાં આ મામલો ઉઠાવીને કોંગ્રેસ ઉપર ફરી એકવાર ભીંસ વધારી છે. મોદીએ આક્ષેપ કરતા કહ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં પરિવાર અને અહેમદ પટેલની સંડોવણી છે તેમ ઈડીની ચાર્જશીટમાં દેખાઈ આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં અમરોહા અને સહારનપુરમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરીને કોંગ્રેસ અને મહાગઠબંધન ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે જ્યારે ભારતે આતંકવાદીઓના અડ્ડાઓને ફુંકી માર્યા ત્યારે દેશમાં કેટલાક લોકો રડી રહ્યા હતા. વિરોધ પક્ષોની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે લોકોના ભાવિ અને જીવનને જોખમમાં મુકનાર વિરોધ પક્ષો સામે આક્રમક લડત ચલાવવાનો સમય આવી ગયો છે. ૧૧મી એપ્રિલના દિવસથી લોકસભા ચુંટણીની શરૂઆત થઈ રહી છે ત્યારે ઉત્તરપ્રદેશમાં અમરોહામાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ત્રાસવાદીઓને તેમની ભાષામાં જવાબ આપવામાં આવે તેમ કેટલાક લોકો ઈચ્છી રહ્યા ન હતા. આતંકવાદી હુમલા બાદ પણ આ પ્રકારના લોકો પુરવાની માંગ કરી રહ્યા હતા. આ લોકો ૧૪મી ફેબ્રુઆરીના આતંકવાદી હુમલાને લઈને આડેધડ નિવેદન કરી રહ્યા હતા. સાથે સાથે જ્યારે ભારતે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી ત્યારે પણ પુરાવાની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે ત્રાસવાદીઓ સામે આક્રમક કાર્યવાહી કરાઈ ત્યારે આ લોકોને આવી કાર્યવાહી પસંદ પડી ન હતી. જ્યારે પાકિસ્તાન વિશ્વની સામે ખુલ્લુ પડી ગયું છે ત્યારે આ લોકો પાકિસ્તાનની તરફેણમાં વાત કરી રહ્યા છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બસપાના લોકો સામાન્ય લોકોના જીવનને ખતરામાં મુકી રહ્યા છે. ભારે મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં ચુંટણી પ્રચારમાં તેઓએ આ મુજબની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે માયાવતી અને અખિલેશ યાદવે અનેક આતંકવાદીઓને મુક્ત કરી દીધા હતા. તેમના પ્રત્યે હળવું વલણ અપનાવાયું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે તેઓએ દેશને પાંચ વર્ષમાં શક્તિશાળી બનાવવામાં ભૂમિકા ભજવી છે. આજે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારતની આ પ્રકારની છાપ અગાઉ ક્યારેય પણ ન હતી. વિશ્વના દેશો ભારતની તાકાતની નોંધ લઈ રહ્યા છે. બીજી બાજુ સહારનપુરમાં રેલીમાં બોલતા મોદીએ મહાગઠબંધન અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. જનતાને મુજફ્ફરનગર રમખાણોની યાદ અપાવતા સપા અને બસપા પર પ્રહાર કર્યા હતા. આરએલડીના મોટા અને નાના ચૌધરીને પણ ટાર્ગેટ પર લીધા હતા. કોંગ્રેસ પાર્ટીના લોકો અહીં બોટી બોટી કહેનાર લોકોનું સન્માન કરે છે. જ્યારે અમે પુત્રીઓનું સન્માન કરીએ છીએ. કોંગ્રેસના ઘોષણાપત્રને બોગસ તરીકે ગણાવીને તેમણે કહ્યું હતું કે જવાનોના નૈતિક જુસ્સાને તોડી પાડનાર સરકાર જોઈએ છે કે પછી તેમના જેવી મજબૂત સરકાર લોકો ઈચ્છે છે. તેમનો ઈશારો જમ્મુ-કાશ્મીરમાં ખાસ અધિકારીને દુર કરવાના કોંગ્રેસના વચન તરફ હતો.
આફસ્પાને દુર કરવા કોંગ્રેસે વચન આપ્યું છે. મુસ્લિમ પુત્રીઓના હિતમાં ત્રિપલ તલાકનો કાયદો અમે લાવ્યા છીએ પરંતુ આ લોકો આનો વિરોધ કરી રહ્યા છે. ભાજપને આપવામાં આવેલા એક એક મતથી આપની સુરક્ષા વધશે. સેના મજબૂત થશે. જવાનોને રોજગારી મળશે. ઈમરાન-મસૂદનો એક વીડિયો ૨૦૧૪ ચુંટણી પહેલા વાયરલ કરાયો હતો. જેમાં અનેક પ્રકારની ધમકી આપવામાં આવી હતી.
આગળની પોસ્ટ