ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એ ચેતવણી આપી છે કે, ૨૦૧૯માં વૈશ્વિક વૃદ્ધિ પહેલાં લગાવવામાં આવેલા અનુમાનથી ઓછી થઇ શકે છે. જો કે, એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે, વર્ષના અંતિમ મહિનાઓમાં વૈશ્વિક વૃદ્ધિ દરમાં સુધારણા જોવા મળી શકે છે પરંતુ તે પણ અનિશ્ચિત હોઇ શકે છે. આઇએમએફએ કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને બ્રેક્ઝિટનો ફટકો લાગવાની આશંકા છે. વર્લ્ડ બેંક અને મોનિટરી ફંડની આગામી સપ્તાહે યોજાનારી બેઠક અગાઉ પોતાના સંબોધનમાં આઇએમએફ ચીફ ક્રિસ્ટિન લેગાર્ડે કહ્યું કે, વિશ્વ અર્થવ્યવસ્થાને બ્રેક્ઝિટથી ફટકો લાગવાનું જોખમ છે. આ ઉપરાંત વ્યાજના ઉંચા દર, વેપાર તણાવ સિવાય નાણાકીય બજારોમાં વિક્ષેપથી પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે. પીટીઆઇ અનુસાર, લેગાર્ડે યુએસ ચેમ્બર ઓફ કોમર્સમાં કહ્યું કે, આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિ દરમાં અનિશ્ચિતતા રહેશે. લેગાર્ડે કહ્યું કે, આઇએમએફ આગામી સપ્તાહે જાન્યુઆરીમાં લગાવેલા વૈશ્વિક વૃદ્ધિના અનુમાનને વધુ ઘટાડશે. તેઓએ કહ્યું કે, તેનું મુખ્ય કારણ એ છે કે, વિશ્વની બે તૃતીયાંશ અર્થવ્યવસ્થાઓનો વૃદ્ધિ દર સુસ્ત રહેશે. આ વર્ષની શરૂઆતમાં આઇએમએફએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘણો ઓછો કરી દીધો છે. આઇએમએફનું અનુમાન છે કે, આ વર્ષ અને આગામી વર્ષ વૈશ્વિક વૃદ્ધિ દર ૩.૫ ટકા રહેશે. આગામી સપ્તાહે વોશિંગ્ટનમાં યોજાનારી કેન્દ્રિય બેંકર્સ અને નાણા મંત્રીઓની અર્ધવાર્ષિક બેઠક એવા સમયે યોજાઇ રહી છે, જ્યારે અમેરિકા અને ચીન પોતાના આઠ મહિનાથી ચાલી રહેલા વેપાર વિવાદને ઉકેલવાના પ્રયાસ કરી રહ્યા છે.
પાછલી પોસ્ટ