નેપાળમાં રવિવારનો દિવસ ભયંકર કુદરતી આફતો લઈને આવ્યો હતો. રવિવારે દેશના વિભિન્ન વિસ્તારોમાં થયેલ વરસાદ અને ભયંકર તોફાને ભારે તારાજી સર્જી છે.
નેપાળની સેનાના પ્રવક્તા યમ પ્રસાદ ધાકલે જણાવ્યું કે આ કુદરતી આફતમાં ૨૭ લોકોનો કાળનો કોળિયો બન્યા છે જ્યારે ૪૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. યમ પ્રસાદે જણાવ્યું કે, સેનાના બે હેલિકોપ્ટર્સને સ્ટેન્ડબાઈ પર રાખવામાં આવ્યા છે. જો પરિસ્થિતિ વધારે બગડશે તો તેની મદદ લેવામાં આવશે. તેમજ સિમારામાં એક સ્કાઈ ટ્રકને તૈયાર રાખવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે ૧૦૦થી વધુ જવાનોને મોકલવામાં આવ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત તેમજ બચાવ કામકાજ ચાલી રહ્યું છે. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય માટે સશસ્ત્ર પોલીસ અને નેપાળ સેનાની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે પરંતુ ત્યાં બેડ અને બ્લડની ખૂબ જ અછત હોવાના કારણે અસુવિધા થઈ રહી છે.